બોટાદ10 મિનિટ પહેલા
- કૉપી લિંક
કિંગ ઓફ સાળંગપુર.
સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે. હનુમાન જયંતિના એક દિવસ પહેલાં જ એટલે કે આજે આ મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદદાસ સહિત અન્ય સંતો દ્વારા તેનું આજે થોડીવારમાં જ લોકાર્પણ કરવામાં આવશે. કિંગ ઓફ હનુમાનજીની પ્રતિમાની વેદોક્ત પૂજાવિધિ પૂર્ણ થયા બાદ 10 મિનિટ સુધી હનુમાનજીના ભજન કિર્તન કરવામાં આવ્યા. આ દરમિયાન અનેક હરિભક્તો ભજન કિર્તનમાં લીન થયા હતા. હાલ સંતોના પ્રવચન ચાલી રહ્યા છે.
દાદાની વિરાટ પ્રતિમાના દર્શન થશે
સંતો અને ભક્તોની મોટી સંખ્યામાં હાજરીથી સમગ્ર પરિસર ભક્તિમય બન્યું છે. અનાવરણ બાદ અહીં આવતા ભક્તો દાદાની વિરાટ પ્રતિમાના દર્શનનો લાભ લઈ શકશે. એટલું જ નહીં હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા છે. તો આવતી કાલે એટલે કે હનુમાન જયંતિના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંના ભોજનાલયને ખુલ્લું મુકશે.
સાળંગપુર ખાતે ભક્તો ઉમટી પડ્યા.
આજે ઓસમાણ મીર અને નિર્મલદાન ગઢવીના કાર્યક્રમ
લોકાર્પણ પ્રસંગે અહીં લાઈટ એન્ડ સાઉન્ડ શો, ડાન્સ, ડોક્યુમેન્ટ્રીથી લઈને વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. તો અહીં લોક ગાયક કલાકાર ઓસમાન મીર અને નિર્મલદાન ગઢવી પણ પર્ફોર્મન્સ આપશે. સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર પરિસરમાં આજે લોકાર્પણ થનાર હનુમાનજીની આ મહાકાય મૂર્તિને હરિયાણાના માણેશ્વરમાં તૈયાર કરવામાં આવી હતી. જે બાદ તેના અલગ અલગ પાર્ટને બાય રોડ લાવવામાં આવ્યાં હતા. જેને જોઈન્ટ કરવાનું કામ લગભગ છેલ્લા 8 મહિનાથી ચાલી રહ્યું હતું.
મૂર્તિની સામે 4 ગાર્ડન
મહત્વનું છે કે, મૂર્તિની ફરતે અલગ અલગ 36 જેટલા ઘુમ્મટ તૈયાર કરાયા છે. તો મૂર્તિનો બેઝ સ્ટેજ તરીકે ઉપયોગમાં લઈ શકાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં મૂર્તિની ફરતે અહીં વિવિધ 10થી વધુ મ્યૂરલ પણ તૈયાર કરાયા છે. તો મૂર્તિની સામે 4 જેટલા ગાર્ડન પણ બનાવવામાં આવ્યાં છે.
કિંગ ઓફ સાળંગપુરનું મુખારવિંદ.
‘કિંગ ઓફ હનુમાન’ની વિશેષતાઓ
- મુકુટ: 7 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું
- મુખારવિંદ: 6.5 ફૂટ લાંબુ, 7.5 ફૂટ પહોળું
- હાથનું કડુ: 15 ફૂટ ઊંચુ, 3.5 ફૂટ પહોળું
- હાથ: 6.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા
- પગ: 8.5 ફૂટ લાંબા, 4 ફૂટ પહોળા
- આભૂષણ: 24 ફૂટ લાંબા, 10 ફૂટ પહોળા
- પગના કડા: 15 ફૂટ ઊંચા, 2.5 ફૂટ પહોળા
- ગદા: 27 ફૂટ લાંબી, 8.5 ફૂટ પહોળી
અમિત શાહે દર્શને આવશે
જ્ઞાન આર્કિટેકના ચિરાગભાઇ ગોટીના જણાવ્યા અનુસાર દોઢ વર્ષ પહેલાં જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ), હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા), વિવેકસાગર સ્વામી (અથાણાવાળા) સહિતના સંતોએ સાળંગપુર મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ઊભી કરવાનો સંકલ્પ કર્યો હતો. ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી ડૉ.સંતસ્વામી દ્વારા સંતોના સંકલ્પને વધાવી લેતા પ્રોજેક્ટ આગળ વધાર્યો હતો. હનુમાનજીની મૂર્તિ કેવી બનાવવી તેનું મોડલ બનાવતાં જ અમને સાત મહિના લાગ્યા હતા. જે પ્રકારે મોડલ તૈયાર કર્યું તે જોતાં આ મૂર્તિને જ્યાં ઊભી કરવાની હતી, ત્યાંનું વાતાવરણ પણ શાંતિમય લાગે, કોઈ વ્યક્તિ આવે તો બે ઘડી શાંતિની પળ માણી શકે તે જોવું પડે તેમ હતું. એક તરફ પ્રતિમા અને બીજી તરફ મંદિર કેમ્પસમાં આવનારને તમામ ચિંતાઓમાંથી મુક્તિ મળે તેવો અહેસાસ કરવાનો ટાસ્ક હતો. એટલે કિંગ ઓફ સાળંગપુર નામે અમે પ્રતિમાની સાથે સાથે ગાર્ડન, ભોજનાલય સહિતની બાબતોના આખા પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરી. હવે ગુરુવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાળંગપુર જશે.
પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે
હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમા 30 હજાર કિલો વજન ધરાવે છે અને 54 ફૂટ ઊંચી છે. પંચધાતુની જાડાઈ 7 એમએમની છે. પાંચ હજાર વર્ષ સુધી પણ અડીખમ રહે અને ભૂકંપના કોઈ પણ મોટા ઝટકા આવે તોય કંઈ થાય નહીં તેવી આ પ્રતિમા હરિયાણાના માનેસરમાં તૈયાર કરવામાં આવી છે. 11 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેકટ 1,45,888.49 સ્ક્વેર મીટર વિસ્તારમાં તૈયાર કરાયો છે. 200થી 300 કારીગરોએ રોજના આઠ કલાક કામ કરીને પ્રતિમા તૈયાર કરી છે. પ્રતિમાનો બેઝ બનાવતા એક વર્ષનો સમય લાગ્યો હતો. 50 હજાર સોલિડ ગ્રેનાઇટ રોક અને 30 હજાર ઘનફૂટ લાઇમ ક્રોંકિટના ફાઉન્ડેશનથી બેઝ બનાવાયો છે.
બેઝની ચારે બાજુ હનુમાન દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી
આ બેઝ માટેના પથ્થરો મકરાણાથી મગાવાયા હતા. બેઝની ચારે બાજુ હનુમાન દાદાની પરિક્રમા 754 ફૂટ લાંબી હશે. સ્ટીલના સ્ટ્રક્ચરથી તૈયાર થયેલી આ પ્રતિમાને ભૂકંપની અસર થશે નહીં. પ્રતિમાના અલગ અલગ પાર્ટ એક હજાર કિમી દૂરથી સાળંગપુરમાં ગયા ઓક્ટોબરમાં લવાયા હતા. પ્રતિમા બનાવવા થ્રીડી પ્રિન્ટર, થ્રીડી રાઉટર અને સીએનસી મશીનનો ઉપયોગ કરાયો હતો.