પોરબંદરએક કલાક પહેલા
- કૉપી લિંક

આગામી 29 એપ્રિલથી ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમની પસંદગી માટે કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાતમાંથી એક માત્ર ખેલાડીની પસંદગી થવા પામી છે. કેમ્પ માટે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન અને પોરબંદરના વતની એવા ભીમા ખૂંટીનું એક માત્ર સિલેક્શન થયું છે. વ્હીલચેર ક્રિકેટ ટીમના પસંદગી કેમ્પમાં ભીમા ખૂંટીનું સિલેક્શન થતા તેઓ પોરબંદરથી લખનઉ જવા માટે રવાના થયા છે. ત્યારે ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમની પસંદગી માટે યોજાનાર આ કેમ્પમાં ભીમા ખૂંટીનું સિલેક્શન થતા તેમણે પોરબંદર તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમની પસંદગી માટે લખનઉ ખાતે 29 એપ્રિલથી 2જી મે સુધી એટલે કે ચાર દિવસીય કેમ્પ યોજાવા જઈ રહ્યો છે. આ પસંદગી કેમ્પમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી 23 જેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ચાર દિવસીય ચાલનારા આ કેમ્પમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 16 જેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવનાર છે. ખેલાડીઓની પસંદગી બાદ આગામી દિવસોમાં ભારત-બાંગલાદેશ વચ્ચે વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. આ કેમ્પમાં પસંદગી પામેલા ખેલાડીઓ ભારત-બાંગલાદેશ વચ્ચે રમાનાર ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ રમશે.

આ અંગે ભીમા ખૂંટીએ જણાવ્યું હતું કે, હવે ભારતમાં વ્હીલચેર ક્રિકેટનું કોમ્પિટિશન હાય લેવલ પર પહોંચી ગયું છે. કારણ કે દેશના 28 રાજ્યોની ટીમો છે. એટલે તમારે રાજ્ય લેવલે સારું પ્રદર્શન કરવું પડે અને ત્યારબાદ તમે કેમ્પમાં સિલેક્શન પામો છો. હું આભાર માનું છું વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશન તથા સિલેક્ટરોનો, કે જેમણે મારા ઉપર ભરોસો મુક્યો છે. ત્યારે આગામી ઇન્ટરનેશનલ સિરીઝ માટે ફરી એક વખત ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના ખેલાડી તરીકે ભીમા ખૂંટી પસંદગી પામે તેવી પોરબંદર સહિત ગુજરાતીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
