અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. જો કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 301 કેસ નોંધાયા છે. જેની સામે 263 દર્દીઓ સાજા થયા છે અને હાલ દસ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.
રાજ્યમાં કોરોનાના કુલ 2332 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2332 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2322 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,69,488 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11055 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 117 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 117 કેસ નોંધાયા છે. 120 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં નવા 34 કેસ નોંધાયા છે. ત્યારે વડોદરામાં 36 કેસ સામે આવ્યા છે. રાજકોટમાં નવા 31 સામે આવ્યા છે. જ્યારે સુરતમાં પણ નવા 26 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વલસાડમાં નવા 7 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 7 કેસ સામે આવ્યા છે. આણંદમાં 5 કેસ, ભરૂચમાં 5 કેસ અને પંચમહાલમાં પણ 5 કેસ નોંધાયા છે. જામનગરમાં 4 કેસ, મોરબીમાં 4 કેસ અને પાટણમાં પણ 4 કેસ સામે આવ્યા છે. બનાસકાંઠામાં 3 કેસ, ભાવનગરમાં 3 કેસ અને ખેડામાં પણ 3 કેસ સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં 1 કેસ, કચ્છમાં 1 કસે, મહીસાગરમાં 1 કેસ, નવસારીમાં 1 કેસ, પોરબંદરમાં 1 કેસ, સાબરકાંઠામાં 1 કેસ અને સુરેન્દ્રનગરમાં પણ 1 કેસ નોંધાયો છે.
રાજ્યમાં એક મહિનામાં કોરોનાથી નવનાં મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો, રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના બીજા દિવસે એટલે કે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. ત્યારબાદ 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.

વડોદરામાં વધુ 24 કેસ, 8 દર્દી ઓક્સિજન અને 1 દર્દી વેન્ટિલેટર પર
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના કેસનો કુલ આંક 101,164 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. આજે વધુ 14 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 100,474 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 146 થયો છે.
આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા
વડોદરા શહેરના અટલાદરા, ગોરવા, જેતલપુર, અકોટા, દિવાળીપુરા, છાણી, સિયાબાગ, નવી ધરતી, હરણી, તરસાલી, માણેજા, મકરપુરા અને રામદેવનગર વિસ્તારમાં આજે કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. કુલ 649 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 24 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક્ટિવ 146 કેસ પૈકી 137 દર્દી હોમ આઇસોલેશનમાં છે અને 9 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. હાલ 1 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 8 દર્દી ઓક્સિજન પર છે. જ્યારે 84 લોકો હોમ ક્વોરન્ટીન છે.