રાજકોટ2 કલાક પહેલા
- કૉપી લિંક

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની ટીપી શાખા દ્વારા આજે ટીપીઓ એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં-3ના રેલનગરમાં દબાણો હટાવવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપી નં-23ના ફાઇનલ પ્લોટ નંબર 4/એમાં એસઇડબલ્યુએસ હેતુનો અનામત પ્લોટ આવેલો છે તો રેલનગરમાં જ ટીપી નંબર-19ના ફાઇનલ પ્લોટ નં.21/બીમાં વાણીજય હેતુનો પ્લોટ આવેલો છે. આ બંને પ્લોટમાં એક ચાલુ મકાનનું બાંધકામ રોકી તોડી પાડવાની સાથે આવું અન્ય એક બાંધકામ પણ હટાવવામાં આવ્યું હતું. આ સાથે જ સ્થળ પર એક ધાર્મિક બાંધકામ થતું હોવાનું પણ ધ્યાન પર આવતા તે પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ બંને પ્લોટની 6656 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. જેની અંદાજીત કિંમત 33 કરોડ જેટલી થાય છે. આ સાથે જ સેન્ટ્રલ ઝોનના જ વોર્ડ નં.7માં પેલેસ રોડ પર સીટી સેન્ટર નામનું જુનુ બિલ્ડીંગ આવેલું છે. જેમાં વત્સલ રજનીકાંત ધાનક દ્વારા માર્જીનની જગ્યામાં ગેરકાયદેસર ટોયલેટ બનાવી દેવામાં આવ્યું હોવાની ફરિયાદોનાં આધારે આ બાંધકામ પણ તોડી પડાયું હતું. આ ઓપરેશનમાં ટીપી અને વિજીલન્સ પોલીસ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.

23 એપ્રિલે લેવાનાર ટેટ-2ની પરીક્ષાને લઇ રાજકોટ સીપીનું જાહેરનામુ
રાજકોટમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-2 (TET-2)ની પરીક્ષા, રાજકોટ શહેરની અલગ-અલગ શાળા કોલેજોના કુલ-122 કેન્દ્રો ખાતે તા.23 એપ્રિલ રવિવારે બપોરે 3 કલાકથી 5 કલાક સુધી લેવામાં આવનાર છે. પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય, પરીક્ષાર્થીઓ ખલેલ વિના પરીક્ષા આપી શકે તેમજ કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ આચરે નહીં તે હેતુસર શહેર પો. કમિશ્નર રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જે મુજબ રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કમ્પાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રિત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની 100 મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકો ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખી શકશે નહીં.
શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ વ્યક્તિ વાહનો લાવશે નહીં કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ, મોબાઇલ ફોન જેવા ઈલેકટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ તેમજ પરીક્ષાખંડમાં લઈ જવા નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષાખંડમાં મોબાઈલ ફોન લઈ જવા નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4ના કર્મચારીઓએ ચોકસાઇપૂર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવા આદેશ કરાયો છે. આ જાહેરનામુ તા.23 એપ્રિલના બપોરે 1 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અમલી રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત 351.81 લાખ રુપિયાની સહાય ચૂકવાઇ
મહિલાઓના સશકિતકરણ માટે સરકાર દ્વારા કુંવરબાઇનું મામેરૂ યોજના કાર્યરત છે. જેમાં કન્યાને તેના લગ્ન પ્રસંગે આર્થિક રીતે મદદરૂપ થવા રાજય સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ યોજનાનું સુચારૂ અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં કુંવરબાઇનું મામેરૂ યોજના અંતર્ગત વર્ષ 2022-23માં વિકસતી જાતિની 3043 કન્યાઓને કન્યાદીઠ 12 હજાર રુપિયા લેખે 351.81 લાખની સહાય ચુકવવામાં આવી હતી. આ યોજનાનો લાભ મેળવવા માટે કન્યાના વાલીની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રુપિયાની હોવી જોઇએ. કન્યાની ઉંમર 18 અને યુવકની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. એક કુટુંબની બે કન્યાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે www.esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.