સુરેન્દ્રનગર33 મિનિટ પહેલા
- કૉપી લિંક
પાટડી જમાદારવાસમાં આવેલા તાલુકાના એકમાત્ર અને 36 ફૂટની ઊંચાઇ ધરાવતા સિધ્ધી વિનાયક મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતાં 30મી એપ્રિલને રવિવારના રોજ ભવ્ય પાટોત્સવનું આયોજન જમાદારવાસ શ્રી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં હવનના મુખ્ય યજમાન તરીકે હિંમાશુભાઇ પ્રમુખભાઇ પરીખ છે. જેમાં સવારે 8.30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે 12.15 કલાકે શ્રીફળ હોમનો કાર્યક્રમ તથા બપોરે 3.30 કલાકે આનંદનો ગરબો અને રાત્રે 9 કલાકે મહા આરતીનો કાર્યક્રમ યોજાશે.
પાટડી નગરપાલિકા વોર્ડ નં-3ના કોર્પોરેટર શ્વેતાબેન ઠક્કર દ્વારા નગરપાલિકામાં સૂચના આપી શ્રી સિધ્ધી વિનાયક મંદિરને પાણીના ધોધ સાથે ધોઇને શ્રી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા સમગ્ર મંદિરને રંગબેરંગી લાઇટોથી અનોખી રીતે શણગારવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા હર્ષદભાઇ પટેલ, રાજુભાઇ શર્મા, મોન્ટુ ઠક્કર અને યોગેશભાઇ શર્મા સહિત સમગ્ર શ્રી ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા રાત દિવસ એક કરી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટડીના જમાદારવાસ અને દરબારી ચોકમાં પાછલા ઘણા વર્ષોથી 10 દિવસના ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં સતત 10 દિવસ સુધી રોજ રાત્રે યોજાતી ગણપતિ દાદાની ભવ્ય આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમગ્ર પાટડીના નગરજનો ઉત્સાહભેર જોડાય છે. અને છેલ્લે ગણપતિ વિસર્જનના દિવસે ભવ્ય શોભાયાત્રા સાથે પાટડીના ઐતિહાસિક ગામ તળાવમાં ગણપતિ દાદાનું આસ્થાભેર વિસર્જન કરવામાં આવે છે. ત્યારે પાટડી 36 ફૂટ ઊંચા સિધ્ધી વિનાયક મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવ અંતર્ગત મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે.