અમદાવાદએક કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા એસ્ટેટ વિભાગના કર્મચારીઓને કમિશનર દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી ઉપરાંત હવે શહેરના ફેરિયાઓ અને લારી ગલ્લાવાળાઓને પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન અપાવવાની કામગીરી માટેના આદેશ આપવામાં આવ્યા છે. યુસીડી વિભાગ દ્વારા એસ્ટેટ વિભાગના અધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 31 મે, 2023 સુધીમાં 45,000 જેટલા ફેરિયાઓને લોન અપાવવાની રહેશે.
દરેક ઝોનમાંથી 5-7 હજાર જેટલા ફેરીયાઓને લોન અપાવવાનો ટાર્ગેટ
મ્યુનિસિપલ કમિશનરે પરિપત્ર બહાર પાડ્યો છે કે, અમદાવાદ શહેર અને બહારથી આવતા ફેરિયાઓ અને લારી ગલ્લાવાળાઓને પીએમ સ્વનિધિ લોન યોજના હેઠળ 10,000 થી લઈને 50,000 સુધીની લોન મળે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ફેરિયાઓ અને લારીવાળાઓને વેન્ડર કાર્ડ આપવામાં આવેલા છે. તેઓને આ સ્વનિધિ યોજના હેઠળ લોન અપાવવા માટેની કામગીરી માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. દરેક ઝોનમાંથી 5,000 થી લઈ 7000 જેટલા ફેરીયાઓને એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટરો દ્વારા સંપર્ક કરી અર્બન ડેવલોપમેન્ટ કોમ્યુનિટી વિભાગ(યુસીડી)ની ઓફિસે મોકલવાના રહેશે. જે ફેરીયાઓ પાસે ઓળખપત્ર નથી તેમને લેટર ઓફ રીકમડેશન સાથે મોકલવાના રહેશે.
વેન્ડર કાર્ડના લાભાર્થીઓ જ લોન માટે અરજી કરી શકશે
AMC એસ્ટેટ વિભાગ અ.મ્યુ.કોપો. દ્વારા અપાવવામાં આવેલા વેન્ડર કાર્ડ, LO.R. (લેટર ઓફ રેકમન્ડેશન), આધાર કાર્ડ ( જેનાં લાભાર્થીઓનો હાલનો મોબાઈલ નંબર લીંક હોય) તેમજ અરજદારના બેંક ખાતાના પાસબુકની વિગતો અપલોડ કરવાની હોય છે. તેથી એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવેલ વેન્ડર કાર્ડના લાભાર્થીઓ જ આ યોજના હેઠળ ઓનલાઈન અરજી પાત્ર બને છે.
31 મે સુધીમાં 45,000 લોકોને લાભ આપવાનો લક્ષ્યાંક
ચાલુ વર્ષ 2023-24 માટે 45,000નો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેને 31 મે,2023 સુધીમાં પૂર્ણ કરવાનો રહેશે. જેના માટે એસ્ટેટ ખાતાના વોર્ડ સબ-ઈન્સ્પેકટર, ઈન્સ્પેકટર ધ્વારા શહેરી ફેરિયાઓને વોર્ડ ઓફિસ ખાતે અને યુસીડી ઓફિસ ખાતે મોકલવામાં આવે તે ખાસ જરૂરી છે. જેથી કરીને પોર્ટલ ઉપર ઓનાલાઈન અરજી કરી શકાય છે. યુસીડી ખાતા મારફતે વોર્ડ કક્ષાએથી AMC દ્વારા ફાળવેલી જેટ રીક્ષા સાથે સંલગ્ન જેટ ટીમ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવામાં મદદ કરે તે ખાસ જરૂરી છે.