મહિસાગર (લુણાવાડા)29 મિનિટ પહેલા
- કૉપી લિંક
મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડામાં વૈષ્ણવાચાર્ય વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 546માં પ્રાગટ્ય દિવસની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન વહેલી સવારથી ગોકુલ બિહારીલાલજીના મંદિરમાં મંગલાદર્શન ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. લુણાવાડા ગોકુલ બિહારીલાલજીના મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રા નગરના વિવિધ વિસ્તારો, માંડવી બજાર, સોનીવાડ, નગરપાલિકા, ફુવારા ચોક થઈ નિજ મંદિર પરત ફરી હતી. આ શોભાયાત્રાનું ફુવારા ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદલ, વી.વાય.ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ શોભાયાત્રાના ભક્ત વૃંદ માટે પાણી છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. લુણાવાડાના વૈષ્ણવોએ આનંદ ઉલ્લાસ અને ભક્તિભાવથી મહાપ્રભુજીનો ઉત્સવ ઉજવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ, હાલના છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરથી 45 કિમી દૂર વૃક્ષધરાથી પરમ શોભાયમાન ચંપારણ્યના ગાઢ જંગલમાં વિ.સં. 1535ના ચૈત્ર વદી એકાદશીના મધ્યાન્હે વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. એજ દિવસે અને એજ સમયે વ્રજમાં શ્રી ગીરીરાજજી ઉપર કૃષ્ણરૂપ શ્રીનાથજી પ્રગટ થયા. વલ્લભાચાર્યજી જન્મ સમયે જંગલમાં તેની રક્ષા કાજે ચોતરફ અગ્નિ પ્રગટ થઈ હતી. ધર્મશાસ્ત્રોમાં વલ્લભના પ્રાગટ્યને કૃષ્ણના મુખાવતાર (ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ) અથવા અગ્નિદેવના અવતાર (અગ્નિ વૈશ્વાતર) માનવામાં આવ્યા છે.
આ ઐતિહાસિક બાબતનું વિસ્તૃત વર્ણન અઢળક સાહિત્ય પ્રકાશનોમાં સુપ્રસિધ્ધ છે. ભારતના આ મહાન જ્યોતિર્ધર જગદગુરૂ આચાર્ય-શિરોમણીએ દૈવી જીવોનો ઉધ્ધાર કરવાના ઉદ્દેશથી વૈષ્ણવ સંપ્રદાયનું સ્થાપન કર્યું. જેને પુષ્ટિ સંપ્રદાય કહેવામાં આવે છે. વલ્લભાચાર્યજીએ વિશ્વને સેવા, સમર્પણ અને સ્નેહનો મહાન સંદેશો આપ્યો છે. સાથોસાથ અનેકવિધ ગ્રંથોની રચના કરી, ગ્રંથો દ્વારા માનવ સૃષ્ટિને કૃતાર્થતાનો સર્વોત્તમ રાહ પણ બતાવ્યો છે. ત્યારે આજે તેમના પ્રાગટ્ય દિવસની સમગ્ર વિશ્વ ભરમાં વૈષ્ણવજનો દ્વારા ઉજવણી થઈ રહી છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં પણ ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.