સુરેન્દ્રનગર8 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં એકબાજુ સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા અનેકવિધ પગલા લેવામાં આવતા હોવાની વાતો થાય છે. તો બીજી બાજુ વાસ્તવિક પરિસ્થિતી મુજબ અનેક શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, ઓરડા નથી. સુરેન્દ્રનગર જીલ્લામાં 585 જેટલા પ્રાથમીક શિક્ષકોની ઘટ હોવાનું જાણવા મળ્યું છે. તેમ છતાં વિદ્યા સહાયકોની જીલ્લા પસંદગી છ મહિનાથી અધ્ધરતાલ હોવાની ફરીયાદો વ્યક્ત થઈ રહી છે.
આ અંગેની જાણવા મળતી વધુ વિગત મુજબ તાજેતરના વિધાનસભા સત્રમાં રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં 21 હજાર જેટલા પ્રાથમીક શિક્ષકો અને આચાર્યોની ઘટ છે. સુરેન્દ્રનગર જીલ્લાની વાત કરવામાં આવે તો જીલ્લાની ગુજરાતી માધ્યમની શાળાઓમાં 553 શિક્ષકો, 26 આચાર્યોની જગ્યા ખાલી છે. જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 4 શિક્ષકો અને 2 આચાર્યની જગ્યા ખાલી છે.

કુલ મળીને જીલ્લામાં 585 પ્રાથમીક શિક્ષકોની ઘટ છે. અને આગામી સમયમાં 31મે આસપાસ જેટલા શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થશે એટલી શિક્ષકોની ઘટ ઉઘડતી શાળાએ વધુ ગંભીર બનવાની શક્યતા છે. શિક્ષકોની આ ઘટ દુર કરવા ઓક્ટોમ્બર-2022માં સરકાર દ્વારા રાજ્યનાં શિક્ષકોની વધુ ઘટ ધરાવતા જીલ્લાઓ માટે 2600 વિદ્યાસહાયકોની ભરતી જાહેર કરી હતી. પરંતુ આ ભરતીની તમામ વહીવટી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, જાન્યુઆરીમાં ફાઈનલ મેરીટ પણ જાહેર થઈ ગયુ છે. છતાં કોઈ અગમ્ય કારણોસર જીલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી.
વિદ્યાસહાયક ઉમેદવાર સૈયદ શાહરૂખ હુસૈન જણાવે છે કે, સામાન્ય રીતે વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા 35થી 40 દિવસમાં પૂરી થઈ જતી હોય છે. પણ આ વખતે 6 મહીનાથી વધુ સમય થઈ ગયો હોવા છતા બદલી કેમ્પના બહાને સરકાર દ્વારા જીલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરાતી નથી. મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ હોય અને અસંખ્ય શાળામાં માત્ર એક શિક્ષકથી કાર્ય ચલાવાતુ હોય ત્યારે આ રીતે છ-છ મહીના સુધી નિર્ણય ન લેવાય તે ગંભીર બેદરકારી ન કહેવાય ..? વિદ્યાસહાયકોમાં જીલ્લા પસંદગી આપી દેવામાં આવે, નિમણુક અને શાળા પસંદગીની પ્રક્રિયા બદલી કેમ્પ બાદ અથવા અન્ય માર્ગ કાઢીને નવા સત્ર સુધીમાં આપવામાં આવે તેવી માંગણી અને લાગણી વ્યક્ત થઈ રહી છે.