વલસાડ2 કલાક પહેલા
- કૉપી લિંક

25 એપ્રિલ જેને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. મેલેરિયા આમ તો સામાન્ય રોગ કહેવાય પરંતુ એની ગંભીરતા એટલી બધી છે કે તે જીવલેણ પણ બની શકે છે. દેશમાંથી આ રોગને જડમૂળથી નાબૂદ કરી દેશને મેલેરિયા મુક્ત બનાવવાનો સંકલ્પ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. જેને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે વધાવી લઈ રાજ્યના આરોગ્ય વિભાગે મેલેરિયા નાબૂદી અભિયાનને એક મિશનના મોડમાં ઉપાડી લીધુ હતું. જેના સારા પરિણામ છેવાડાના વલસાડ જિલ્લામાં જોવા મળ્યા છે. છેલ્લા 6 વર્ષમાં મેલેરિયાથી એક પણ વ્યક્તિનું મોત થયુ નથી અને 6 વર્ષ પહેલા જિલ્લામાં મેલેરિયાના 129 કેસ જોવા મળ્યા હતા જે ઘટીને હવે માત્ર 8 થયા છે. જેના પરથી એવુ જણાય છે કે, વલસાડ જિલ્લો હવે મેલેરિયા નાબૂદીના પંથે છે.

વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવાનો હેતુ મેલેરિયા રોગના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જન સમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે. જે ધ્યાને લેતા ચાલુ વર્ષે 2023માં વિશ્વ મેલેરિયા દિવસની થીમ “Time to deliver zero malaria: invest, innovate, implement ” (શૂન્ય મેલેરિયા પહોંચાડવાનો સમયઃ રોકાણ, નવીનતા, અમલીકરણ) છે. મેલેરિયા માદા એનોફિલિસ મચ્છર કરડવાથી થાય છે. માદા એનોફિલિસ મચ્છરને ઈંડા મૂકવા માટે લોહીની જરૂર પડે છે. જેથી તે માણસને કરડે છે. તેની સાથે મેલેરિયાના જંતુ માણસના લોહીમાં દાખલ થાય છે. મેલેરિયાના લક્ષણો મચ્છર કરડ્યાના 10થી 15 દિવસ પછી દેખાય છે. જેમાં ઠંડી ચઢીને તાવ આવવો, શરીર ખૂબ તૂટવુ, બરોળ અને લીવર વધવુ વગેરે છે. જો યોગ્ય સારવાર ન મળે તો મૃત્યુ પણ થઈ શકે છે. આ સિવાય મોટી સંખ્યામાં રક્તકણો તુટતા સગર્ભા માતાઓ અને બાળકોમાં પાંડુરોગ (એનીમીયા) ફેલાય છે.

વરસાદની ઋતુમાં ઠેર-ઠેર પાણી ભરાતા મચ્છરોની ઉત્પત્તિ થાય છે. મેલેરિયાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય રહેણાંક વિસ્તારની આસપાસ ખાનગી તેમજ કોમન પ્લોટમાં પાણીના ભરાવાને દૂર કરી સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. યાદ રાખો મચ્છરથી જ મેલેરિયા ફેલાય છે. જેથી મચ્છરની ઉત્પતિ અટકાવીએ તો આપમેળે મેલેરિયાની નાબૂદી થશે પરંતુ તેના માટે લોકોનો સહકાર ખૂબ જરૂરી છે. મેલેરિયામાં બે પ્રકારના તાવ જોવા મળે છે. સાદો તાવ અને મગજનો તાવ. મગજનો તાવ જીવલેણ પણ બને છે. છેલ્લા 6 વર્ષમાં મગજનો તાવના 14 અને પોઝિટિવ મેલેરિયા (સાદા તાવ) ના 299 કેસ જોવા મળ્યા છે. ત્યારે આગામી દિવસોમાં “મેલેરિયા સામે જંગ- આવો લડીએ સૌ સંગ” નું સૂત્ર ઘરે ઘરે ગુંજતુ થશે તો સંપૂર્ણ સફળતા મળશે.
90 હજારના લક્ષ્યાંક સામે 1,08,373 લોકોના લોહીની તપાસ કરી 123% સિધ્ધિ મેળવી
વલસાડ જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિરેન પટેલે જણાવ્યું કે, વલસાડ જિલ્લામાં મેલેરિયા નાબૂદ થવાને આરે છે. જેનો શ્રેય આરોગ્ય ખાતાની ટીમના ફાળે જાય છે. જિલ્લામાં 90 હજાર લોકોની લોહીની તપાસનો લક્ષ્યાંક હતો જેની સામે 1,08,373 લોકોની લોહીની તપાસ કરી 123% કામગીરી કરવામાં સફળતા મળી છે. ચાલુ વર્ષે 4 માસ દરમિયાન 63,887 ઘરોમાં સર્વે કરી 1,33,527 મચ્છર ઉત્તપતિના સ્થાનો શોધી કાઢ્યા હતા. જેમાંથી 257 જગ્યાએ પોઝિટિવ મેલેરિયાના જંતુ મળ્યા હતા. જેથી ૫૯૯૨ ઘરોમાં ટેમિફોસ દવા અને 1,285 ખાડા ખાબોચિયામાં બીટીઆઈ પ્રવાહીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જ્યારે 250 જેટલા ઘરોમાં ફોગીંગ પણ કરાયુ હતું.
ગત વર્ષે રાજ્ય સરકાર રૂ. 70 લાખની ગ્રાંટ ફાળવે છે
રાજ્ય સરકાર દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ગત વર્ષે રૂ. 70 લાખની ગ્રાંટ વલસાડ જિલ્લાને ફાળવાય હતી. જેના થકી મેલેરિયા, ચિકનગુનિયા, ડેંગ્યુ અને ફાઈલેરિયાની નાબૂદી માટે જનજાગૃતિ અને પ્રચાર પ્રસાર કાર્યક્રમો, ફોંગીંગ મશીન, દવા, પોરાનાશક કામગીરી, મેલેરિયાની એક સ્લાઈડ દીઠ રૂ. 15 અને મેલેરિયા તેમજ ડેંગ્યુના કેસોના સર્વે માટે રૂ. 200 આશા વર્કરને ચૂકવવામાં આવે છે. જિલ્લામાં મેલેરિયા નાબૂદી માટે ડોર ટુ ડોર સઘન કામગીરી થઈ રહી છે.
મેલેરિયા બચવા માટે આટલુ કરો
મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોનો સહકાર મળે તે માટે ઘરની અંદર તથા આજુબાજુ પાણીનો ભરાવો ન થાય, ફુલદાની, કુલર, સિમેન્ટના ટાંકા, પાણીની કોઠી, પીપડા વગેરેનું પાણી દર અઠવાડીએ ખાલી કરી ઘસીને સાફ કરી તડકે સુકવીને નવું પાણી ભરવું, પાણી ભરવાના સ્ત્રોતો હવા ચુસ્ત ઢાંકણથી બંધ રાખવા, કાયમી પાણીથી ભરાઈ રહેતા સ્થળોએ પોરાનાશક માછલી (ગપ્પી) મુકવી, તૂટેલા માટલા, ખાલી શીશી, ડબલા, જુના ટાયરો, નાળીયેરીની કાચલીનો નાશ કરવો જોઈએ. કારણ કે તેમાં પાણી ભરાવાથી મચ્છર ઉત્પતિ થાય છે. આ સિવાય મચ્છરદાનીમાં સુવાની ટેવ પાડવી, મચ્છર અગરબત્તી કે રીપેલેન્ટનો ઉપયોગ કરવો, ઘરમાં કડવા લીમડાનો ધુમાડો કરવો, શરીર પુરતું ઢંકાય તેવા કપડા પહેરવા.