ભાવનગર3 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાજ્યભરમાં ચકચાર મચાવનારા ડમીકાંડ પ્રકરણમાં ભાવનગર પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આજે વધુ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે આરોપીઓ ઝડપાયા છે તે પૈકીનો એક આરોપી હાલ શિક્ષક તરીકે અને બે આરોપી હેલ્થ વર્કર તરીકે સરકારી નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. આજે વધુ 6 આરોપીઓ ઝડપાતા ડમીકાંડમાં ઝડપાયેલા આરોપીઓનો કુલ આંક 14 પર પહોંચ્યો છે.
ભાવનગર પોલીસે આજે ઝડપેલા આરોપીઓના નામ
- વિપુલ તુલશીદાસ અગ્રાવત, હાલ તળાજાની કેન્દ્રવતી શાળામાં શિક્ષક છે. વિપુલે સને-2022માં નિલેષ ઘનશ્યામભાઈ જાનીની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ખાતે MPHWની પરીક્ષા આપેલ હતી.
- ભાર્ગવ કનુભાઇ બારૈયા, જે હાલ વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગામં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરી રહ્યો છે. તેની જગ્યાએ આરોપી શરદ ભાનુશંકરભાઇ પનોતે ધોરણ 12ની પરીક્ષા આપી હતી.
- પાર્થ ઇશ્વરભાઇ જાનીની જગ્યાએ ડમી ઉમેદવારે 26 માર્ચ 2022ના રોજ પશુધન નિરીક્ષકની પરીક્ષા આપેલી હતી.
- અશ્વિનભાઇ રમેશભાઇ સોલંકીની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે આરોપી મીલનભાઇ ઘુઘાભાઇએ સને-2022માં વનરક્ષકની પરીક્ષા આપેલ હતી
- રમેશભાઇ બચુભાઇ બારૈયા જે હાલ સાવરકુંડલા આરોગ્ય વિભાગમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરે છે. તેને જયદીપ ભદ્રેશભાઈ ધાંધલિયાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે વર્ષ 2022માં રાજ્કોટ ખાતે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે પરીક્ષા આપી હતી.
- રાહુલ દિપકભાઈ લીંબડીયાએ હિતેષ બાબુભાઈના ડમી ઉમેદવાર તરીકે 2022માં પશુધન નિરીક્ષકની પરીક્ષા આપી હતી.

આ પહેલા ઝડપાયેલા 8 આરોપીઓના નામ
- શરદ પનોત
- પ્રકાશ ઉર્ફે પી.કે. દવે
- બળદેવ રમેશભાઈ રાઠોડ
- પ્રદીપ નંદલાલભાઈ બારૈયા
- સંજય હરજીભાઈ પંડ્યા
- અક્ષર રમેશભાઈ બારૈયા
- વિરમદેવસિંહ ગોહિલ
- મિલન ઘૂઘા બારૈયા
આ મામલે હજી પણ 26 આરોપીઓ ઝડપવાના બાકી
ડમીકાંડ મામલે ભાવનગર પોલીસ દ્વારા 14 એપ્રિલે 36 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન વધુ ચાર આરોપીઓના નામ ખૂલ્યા હતા. પોલીસ અત્યાર સુધીમાં કુલ 14 આરોપીઓને ઝડપી ચૂકી છે. હજી પણ આ મામલે 26 આરોપીઓને ઝડપવાના બાકી છે. ડીવાયએસપી સિંઘાલે કહ્યું હતું કે, અમે કેટલાક આરોપીઓને બોલાવી પૂછપરછ કરી રહ્યા છે તેઓની સામે પુરાવા મળતા ધરપકડ કરવામાં આવશે.
યુવરાજસિંહ આવતીકાલે પોલીસ સમક્ષ હાજર થશે કે નહીં?
ડમી ઉમેદવારનું કૌભાંડ ઉજાગર કરનાર રાજકોટ જિલ્લાના ગોંડલના યુવરાજસિંહ જાડેજાને ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમે આ કૌભાંડમાં ગેરકાયદે નાણાકીય વ્યવહારો કર્યાંના આક્ષેપોને લઈને પોતાનો પક્ષ રજૂ કરવા સમન્સ પાઠવ્યું હતું. પરંતુ હાજર ન થતાં પોલીસે બીજું સમન્સ પાઠવ્યું હતું. જોકે યુવરાજસિંહે 10 દિવસની મુદ્દત માંગી હતી. પોલીસે આવતીકાલે બપોરે 12 વાગ્યે હાજર રહેવા પાઠવ્યું છે ત્યારે આવતીકાલે યુવરાજસિંહ હાજર થશે કે નહીં તેને લઈ સસ્પેન્સ સર્જાયું છે.
કઈ રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ?
આરોપીઓ પોતાના ફાયદા માટે એકબીજાના મેળાપીપણામાં વર્ષ 2012થી 2023 દરમિયાન ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ અને સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસનારા ઉમેદવારોની હોલ ટિકિટ અને આધારકાર્ડ ઉપરના ફોટોગ્રાફ લેપટોપના માધ્યમથી ચેડા કરી તેની જગ્યાએ ડમી વ્યક્તિને બેસાડી પરીક્ષાઓ અપાવતા હતા.
સમગ્ર મામલાની તપાસ માટે કરવામાં આવી છે SITની રચના
ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ મામલાની તપાસ માટે 19 અધિકારીઓ અને કર્મચારીઓની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 1 પીઆઈ, 8 પીએસઆઈ, LCB,SOG,અને પેરોલ ફર્લો સ્ક્વોડના માણસો સાથેની એક ટીમ રચવામાં આવી છે. જે ડમી કાંડ મામલે તપાસ કરી રહી છે.