વલસાડ5 કલાક પહેલા
- કૉપી લિંક

મુખ્યમંત્રીનાં જનસંપર્ક કાર્યક્રમ હેઠળ, ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરુઆત તા.24 એપ્રિલ -2003નાં રોજ થઈ હતી. આ કાર્યક્રમને એપ્રિલ મહિનામાં 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે વલસાડ જિલ્લામાં આ માસના ચોથા સપ્તાહની “સ્વાગત સપ્તાહ” તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લાનાં વિવિધ ગામોમાં ગ્રામ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જેમાં વિવિધ ગામોમાંથી કુલ 608 જેટલી અરજીઓ મળી છે.

વલસાડ જિલ્લાનાં વિવિધ તાલુકાઓનાં ગામડાઓમાં ગ્રામ સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં વલસાડ તાલુકામાંથી 132 અરજી, ધરમપુર તાલુકામાંથી ૧૫૬ અરજી, પારડી તાલુકામાંથી 90 અરજી, કપરાડા તાલુકામાંથી 108 અરજી, ઉમરગામ તાલુકામાંથી 73 અરજી અને વાપી તાલુકામાંથી ૪૯ અરજી અને રજૂઆત મળી છે. આમ, આ તમામ અરજીઓ ઉપર જરૂરી નિયમોનુસાર કાર્યવાહી કરી તમામ અરજીઓને 24 એપ્રિલથી 26 એપ્રિલ સુધી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લઈ નિકાલ કરવામાં આવશે. આગામી દિવસોમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ વલસાડ જિલ્લામાં યોજાશે. ત્યારે વધુમાં વધુ લોકોને કાર્યક્રમમાં જોડવા માટે ઈન્ચાર્જ કલેક્ટરશ્રી મનિષ ગુરવાનીએ સંબંધિત અધિકારીઓને સુચન કર્યુ છે. 24થી 26નાં રોજ દરેક તાલુકામાં તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તથા 27 એપ્રિલનાં રોજ જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સપ્તાહની ઉજવણી દરમિયાન જિલ્લાનાં અલગ અલગ તાલુકામાં યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પ્રાયોજના વહીવટદારશ્રી, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, નાયબ કલેક્ટર વલસાડ, પારડી અને ધરમપુર તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સહીત વર્ગ-1 નાં અધિકારીઓ ઉપસ્થિત રહેશે.