નવસારીએક કલાક પહેલા
- કૉપી લિંક

નવસારી સહિત રાજ્યમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુમાં સૌથી વધુ પ્રમાણમાં દ્વી-ચક્રીય વાહન ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવાના કારણે થતા હોય છે. ત્યારે નવસારીમાં સને-2022ના વર્ષ દરમ્યાન કુલ- 175 ફેટલ અકસ્માત પૈકી 106 ફેટલ અકસ્માત ટુ-વ્હીલર વાહનચાલકોનો થયેલ અને જેમાંથી 102 વાહનચાલકોના મૃત્યુ દ્વિ-ચક્રીય વાહન પર હેલ્મેટ ન પહેરવાના કારણે થયેલ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. જેથી હરકતમાં આવેલી ટ્રાફિક પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે.
હાઈવે પર હેલ્મેટ વગર ટુ-વ્હીલર વાહન હંકારતા વાહનચાલકો વિરૂધ્ધ એક ડ્રાઇવ 24મી થી 31મી માર્ચ સુધી યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર નવસારી જિલ્લામાં ડ્રાઇવ દરમ્યાન 442 જેટલા હેલ્મેટ વગર ટુ-વ્હીલર હંકારતા વાહનચાલકોને હેલ્મેટ ન પહેરવા બદલ રૂ.2,21000 જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો તથા હેલ્મેટ પહેરીને જ ટુ-વ્હીલર ડ્રાઇવ કરવાની સમજ આપવામાં આવી હતી. ટ્રાફિક નિયમ અંગેના પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં. આવનાર દિવસોમાં લોકોમાં હેલ્મેટ, સીટબેલ્ટ અંગે જાગૃત્તિ આવે તે બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.
ડિસેમ્બર 2022 થી લઈને અત્યાર સુધી નવસારી હાઇવે ઉપર અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક વધારો થતા જિલ્લા પોલીસે ટ્રાફિક નિયમોની જાણકારી વાહન ચાલકોને મળે તે માટે વિવિધ ડ્રાઇવ આયોજિત કરી છે. જેને લઈને સકારાત્મક પરિણામો મળ્યા છે અકસ્માતની સંખ્યામાં ઘટાડો થાય તેવી દિશામાં પોલીસે કામગીરી હાથ ધરી છે વાહન ચાલકોએ પણ જવાબદારી પૂર્વક વાહન હાકીને પોતાની તથા અન્ય વાહન ચાલકનું જીવન સલામત રહે તેવી રીતે વર્તવું સમયની માંગ છે.