એક કલાક પહેલા
- કૉપી લિંક

ઉચ્ચ શિક્ષિત યુવાનો લાંબા સમયથી સરકારી નોકરીમાં ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તો બીજી બાજુ ભાજપ સરકાર લાંબા સમયથી વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાનું આયોજન કરતી નથી. દર વર્ષે બે કરોડ રોજગારનું વચન આપનાર કેન્દ્રની મોદી સરકાર- ભાજપ સરકારે દેશના અને ગુજરાતમાં કરોડો યુવાનો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવકતા ડૉ. મનીષ દોશીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકારે દર વર્ષે 2 કરોડ રોજગારની વાતો કરી હતી પણ હકીકતમાં તો રેલ્વેમાં 2.93 લાખ, રક્ષા વિભાગમાં 2.64 લાખ, ગૃહ વિભાગમાં 1.43 લાખ, પોસ્ટ્સમાં 90050, રેવન્યુમાં 80243, ઓડિટમાં 25943 સહિત 10 લાખ જેટલી ભરતીની જગ્યાઓ ખાલી છે.
આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા 5000 કરોડનો ભ્રષ્ટાચાર
ગુજરાતનાં વર્ષ 1990ની વસ્તીનાં આધારે વહીવટી માળખામાં મહેકમ મંજુર કરાયું હતું પરંતુ, વર્ષ 2023માં 6.5 કરોડ જનસંખ્યાની જરૂરિયાત પ્રમાણે દસ લાખ કરતા વધુ મહેકમમાં ખાલી જગ્યાઓ છે. રાજ્યમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં 8 લાખ કરતાં વધુ યુવાન-યુવતીઓનું સુનિયોજિત રીતે આર્થિક શોષણ થઇ રહ્યું છે. ભાજપ સરકારના શાસનમાં આઉટસોર્સિંગ-કોન્ટ્રાક્ટ-રોજમદાર સહિતના સરકારી શોષણ પદ્ધતિમાં 5000 કરોડ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર કરી આઉટસોર્સિંગ એજન્સીઓ કોન્ટ્રાક્ટરો 40 થી 55 ટકા નાણાં ચૂકવી રહ્યા છે.
કેન્દ્ર સરકારે વિવિધ ભરતી પ્રક્રિયાનાં નામે કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે- પરીક્ષા માટે બેરોજગાર યુવાનો પાસેથી છેલ્લા 8 વર્ષમાં વસૂલી લીધા પણ મોટાભાગની ભરતીઓની પરીક્ષા યોજાઈ નથી, જે પરીક્ષા યોજાઈ તેમાં પણ પરિણામ બાકી છે. ગુજરાતમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં સતત પેપર ફૂટવા સહિતની ભરતી પરીક્ષાઓમાં અનેક પ્રકારની ગેરરીતોઓ સામે આવી છે.

ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું
ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનાં જુદા-જુદા વિભાગોમાં 32,000થી વધુ શિક્ષકો-આચાર્યો સહિતની જગ્યાઓ ખાલી છે, ઉચ્ચ શિક્ષણમાં પણ સરકારી અને ગ્રાન્ટેડમાં 55 ટકા પ્રાધ્યાપકો, યુનિવર્સિટીમાં 45 ટકાથી વધુ પ્રાધ્યાપકો તેમજ 65 ટકા લેબોરેટરી સપોર્ટરની ખાલી જગ્યાઓ છે. ટેક્નિકલ શિક્ષણમાં પણ ડીગ્રી ઇજનેરી – 45 ટકા જેટલા અધ્યાપકો, ડિપ્લોમા ઇજનેરી- 50 ટકા જેટલા અધ્યાપકોની જગ્યાઓ ખાલી છે, ડીગ્રી-ડિપ્લોમા કોલેજમાં લેબોરેટરી / વર્કશોપમાં પણ 65 ટકા જગ્યાઓ ખાલી છે, જેના કારણે વિધાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે જે ચિંતાનો વિષય છે.
ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ભ્રષ્ટાચારનો ભોગ બન્યા
8 હજાર ગામડાઓમાં તલાટીઓની જગ્યા લાંબા સમયથી ખાલી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, જીલ્લાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર, નર્સ સહીત મેડિકલ સ્ટાફની મોટાપાયે ઘટ છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આરોગ્ય ક્ષેત્રે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, મહેસુલ, ગૃહ, પંચાયત જેવા વિભાગમાં મોટાપાયે ખાલી જગ્યાઓના લીધે નાગરિકોને તકલીફ, હાલાકી, પરેશાની, કામમાં વિલંબ તેમજ ભ્રષ્ટાચારનો ભોગ બની રહ્યા છે.
‘ગુજરાતમાં ખાલી પડેલી લાખો જગ્યાઓ પર ભરતી કરો’ – કોંગ્રેસ
આરોગ્ય વિભાગમાં 99 ટકા સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટની જગ્યાઓ ખાલી, માર્ગ અને મકાન વિભાગ, જળસિંચાઈ, વોટર રિસોર્સ, નર્મદા સહિતનાં વિભાગોમાં મોટાપાયે જગ્યાઓ ખાલી છે, બીજી બાજુ મોટાભાગના એન્જીનીયર વર્ક ડ્રોઈંગ, પ્રોજેકટ ડોક્યુમેન્ટ, સુપરવિઝન, ઇન્સ્પેકશન, સહિતના મોટાભાગનું કામ આઉટસોર્સ કરવામાં આવ્યું છે જયારે છેલ્લા ૧૫-૧૫ વર્ષથી આર્ટ શિક્ષક, સંગીત શિક્ષક, ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક, કોમ્પ્યુટર શિક્ષક, લાયબ્રેરીયનની ભરતી કરવામાં આવી નથી. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ સહિતના વિભાગો અને કેન્દ્રના રેલ્વે, રક્ષા, રેવન્યુ સહિતના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી લાખો સરકારી જગ્યાઓને સત્વેરે ભરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.