- Gujarati News
- Local
- Gujarat
- Why Did Mansukh Vasava Give Warning Of Strike? 4 Lakh Grill Will Be Installed For 80 Thousand Glass; Vadodara Turned Into A Hill Station
5 મિનિટ પહેલા
- કૉપી લિંક

ભૂપેન્દ્ર પટેલની સિક્યુરિટી ટીમ બદલાઈ
સીએમ સિક્યુરિટીના 5 DYSPની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે. લાંબા સમયથી ફરજ બજાવતા પાંચ ડીવાયએસપીને બદલવામાં આવ્યા છે. એકસાથે બદલીના ઓર્ડરો થતા અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. સીએમ સિક્યુરિટીમાં નવા પાંચ ડીવાયએસપીની નિમણૂક કરાઈ છે. બદલાયેલા પાંચેય અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગનો આદેશ અપાયો છે.

‘મોદી’ અટક બદનક્ષી કેસ
‘મોદી’ અટક બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ગીતા ગોપીએ ‘નોટ બીફોર મી’ કહીને આ અરજી સાંભળવાનો ઈન્કાર કર્યો છે. હવે એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ દ્વારા આ અરજી કોણ સાંભળશે તે નક્કી કરશે. આગામી સમયમાં હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી હાથ ધરાશે. રાહુલ ગાંધીએ તેમની વિરુદ્ધના 2 વર્ષની સજાના સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને ગઇકાલે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાંપાનેરી દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં અરજન્ટ સર્ક્યુલેશન માટે માગ કરવામાં આવી હતી. જેમાં તાત્કાલિક સુનાવણીની માગ ગ્રાહ્ય રાખવામાં આવી હતી.

મનસુખ વસાવાની ધરણાંની ચીમકી
વડોદરાના નારેશ્વર ચોકડી પાસે રેતી ભરેલા ડમ્પરની ટક્કરે આધેડનું મૃત્યુ થઇ ગયું છે. ભાણીના લગ્નની કંકોત્રી આપવા ગયેલા માસાનું અકસ્માતમાં મોત થયા બાદ રેતી ભરેલું ડમ્પર ત્યાં જ મૂકી ચાલક ફરાર થઇ ગયો હતો. નારેશ્વર રોડ પર થયેલા આ અકસ્માત બાદ અહીંના સાંસદ મનસુખ વસાવાનો રોષ ભભૂકી ઊઠ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ આ ઘટના અને આવી ઘણી ઘટનાઓ મુદ્દે રેતી માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. જો કાર્યવાહી નહીં થાય તો તેઓ ધરણાં કરશે તેમ પણ વહીવટીદારોને ચીમકી આપી છે. મનસુખ વસાવાએ ઘણા નેતાઓ અને સરકારી બાબુઓને આડે હાથે લેતા કહ્યું કે, આ સમગ્ર મામલે તંત્ર એટલે કાર્યવાહી નથી કરતું કારણ કે તેમાં ઘણાં નેતાઓના પણ હાથ છે.

રાજકોટમાં રાજકારણ ગરમાયું
ગઈકાલે મનપાના સેક્રેટરી દ્વારા વિપક્ષ નેતાનું કાર્યાલય અને કાર પરત લેવા માટે મ્યુનિ. કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જેને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના શાસકો દ્વારા કાર ભલે પરત લેવામાં આવે પરંતુ કાર્યાલય ચાલુ રાખવું જોઈએ. આ માટે મેયરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. છતાં જો કાર્યાલય ખાલી કરાવી કોઈ જગ્યા આપવામાં નહીં આવે તો વિપક્ષ નેતા અને કોંગ્રેસના કોર્પોરેટરો સહિતના નેતાઓ RMCના બગીચામાં બેસી લોકોના પ્રશ્નો સાંભળશે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતા અશોક ડાંગરે શાસકો પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, પોતાના આકાઓને ખુશ કરવા માટે વિપક્ષ પદ છીનવી લીધું છે. ભૂતકાળ યાદ કરાવતા તેમણે રાજકોટ ભાજપના પીઢ નેતા ચીમનભાઈ શુક્લને પણ યાદ કર્યા હતા. તેમના સમયમાં વિપક્ષને જરૂરી સુવિધા અપાઈ હોવાનું કહ્યું હતું અને ભાનુબેન સોરાણીએ અલગ અલગ ભાજપની ફાઈલો કાઢી એટલા માટે વિપક્ષ નેતાનું પદ લઈ લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો.

અટલ ફૂટ બ્રિજના કાચમાં તિરાડો પડતા ગ્રીલ લગાવાઈ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા માટેનો સૌથી જાણીતો એવો અટલ ફૂટ ઓવરબ્રિજ ઉપર વચ્ચે લગાવવામાં આવેલા આઠ કાચમાંથી એક કાચમાં તિરાડો પડી ગઈ હતી. હવે આ તમામ કાચની આસપાસ લોખંડની ગ્રિલ લગાવી દેવામાં આવી છે. અત્યાર સુધી લોકો એના ઉપર ઊભા રહીને નીચે નદીનું પાણી જોઈ શકતા હતા અને ત્યાંથી તસવીરો, વીડિયો અને સેલ્ફી લેતા હતા, પરંતુ માત્ર સાત મહિનામાં જ આ કાચ ઘસાઈ જતાં એના પર સ્ક્રેચ પડ્યા હતા. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા લોખંડની ગ્રિલ લગાવી દેવાઈ છે, જેથી હવે લોકો ત્યાં ઊભા રહી નહીં શકે, પરંતુ લોખંડની ગ્રિલ પાસેથી ઊભા રહીને નીચે સીધું નદીમાં પાણી જોઈ શકશે. જોકે આડસ મૂકવા માટે સ્ટીલની ગ્રિલ લગાવવા માટે લાખોનો ખર્ચ કરાયો છે.

વડોદરાવાસીઓને બેવડી ઋતુનો અનુભવ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી હવામાન વિભાગ દ્વારા 26થી 29 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્યારે વહેલી સવારે વડોદરા શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વહેલી સવારે પડેલા વરસાદથી વાતાવરણ હિલ સ્ટેશનમાં ફેરવાઇ ગયું હતું. જોકે, મોડી સવાર બાદ વાદળો વિખરાઇ જતાં શહેરીજનોને અસહ્ય ગરમીનો અનુભવ કરવો પડી રહ્યો છે. જેથી આજે શહેર-જિલ્લા વાસીઓને બેવડી મોસમનો સામનો કરવો પડ્યો. બીજી બાજુ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે ધરતીપુત્રો ચિંતાતુર બન્યા છે અને શહેરીજનોને રોગચાળાની દહેશત સતાવી રહી છે.

બે જૂથ વચ્ચેની મારામારીનાં LIVE દૃશ્યો
સુરતના ઓલપાડ તાલુકાના કીમ ગામમાં ગત રાત્રે ઓટલા પર બેસવાના મુદ્દે બે જૂથ જાહેર રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. બન્ને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં સળિયા, લાકડી સાથે એકબીજા પર તૂટી પડ્યાં હતાં તેમજ પથ્થરમારો પણ થયો હતો. મારામારીના આ વીડિયો કોઈએ મોબાઈલમાં બનાવીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેથી આ ઘટનાને લઈને પોલીસે હરકતમાં આવી 8 શખ્સની ધરપકડ કરી. અને સબક શિખવાડવા પોલીસે તમામ આરોપીઓને જાહેર રોડ પર જ ઊઠક-બેઠક કરાવી.
