- Gujarati News
- Local
- Gujarat
- After The Meeting With Patil In Rajkot, 15 Resigned Together, 1100 Kg Of Cotton Was Burnt In The Blink Of An Eye.
એક કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટના રાજકારણના સૌથી મોટા સમાચાર
રાજકોટના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તમામ સભ્યોનાં રાજીનામાં લેવાયાં છે. જેથી હવે ટૂંક સમયમાં નવી સમિતિ બનશે. જોકે, રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ આંતરિક વિખવાદનો ઇનકાર કરી દીધો છે. ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠક બાદ આજે એકાએક રાજીનામાં લઈ લેવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે રાજકોટ કમલમ્ કાર્યાલય ખાતે શહેર પ્રમુખ કમલેશ મીરાણી અને મેયર ડો. પ્રદીપ ડવની ઉપસ્થિતિમાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, વાઇસ ચેરમેન સંગીતાબેન છાયા સહિત 15 સભ્યોનાં રાજીનામાં લેવામાં આવ્યાં હતાં. પ્રદેશ પ્રમુખની સૂચનાથી ચેરમેન સહિત 15 સભ્યોએ રાજીનામાં આપ્યાં છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોનાં રાજીનામાં બાદ રાજકોટ ભાજપ શહેર પ્રમખ કમલેશ મીરાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપમાં ક્યારેય વિવાદ હોતો નથી. પાર્ટીએ સમજી વિચારીને નિર્ણય લીધો છે અને પક્ષનો નિર્ણય સમિતિના તમામ સભ્યોએ માન્ય રાખ્યો છે. તેમણે જણાવ્યું છે કે, અમારા માટે બધા જ કાર્યકર્તાઓ મહત્ત્વના હોય છે. હવે પાર્ટીના આદેશ બાદ નવી કમિટીની રચના કરવામાં આવશે.

ઢોરનો ત્રાસ ડામવા હવે બાઉન્સરોનો ઉપયોગ કરાશે
અમદાવાદમાં રખડતાં પશુના ત્રાસને ડામવા બાઉન્સરોનો ઉપયોગ કરાશે. હોટ સ્પોટવાળાં 96 સ્થળોએ કોર્પોરેશન બાઉન્સરોને તૈનાત કરશે. ગુજરાત હાઈકોર્ટમાં રખડતાં ઢોર મુદ્દે દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર ગઈકાલે સુનાવણી યોજાઈ હતી. આ દરમિયાન રખડતાં ઢોર મુદ્દે કોર્ટના નિર્દેશ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં AMCએ પશુનો ત્રાસ અટકાવવા શું વિચાર્યું તે મામલે જવાબ આપવામાં આવ્યો હતો. સોગંદનામામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવ્યું હતું કે, શહેરમાં રખડતાં પશુઓના ત્રાસને ડામવા AMC બાઉન્સરોનો ઉપયોગ કરવામાં આવશે. AMC દ્વારા અમદાવાદમાં કુલ 96 જેટલાં સ્થળોને રખડતાં ઢોરના હોટસ્પોટ તરીકે નક્કી કરવામાં આવ્યાં છે. કોર્પોરેશન હોટ સ્પોટવાળાં 96 સ્થળોએ બાઉન્સરો તૈનાત કરશે. મહત્ત્વનું છે કે, AMCના CNCD વિભાગની કામગીરી પર સુપરવિઝન માટે બે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને નિયુક્ત કરાવામાં આવ્યા છે. આ ઉપરાંત AMCએ કહ્યું હતું કે, રખડતાં ઢોરોની સમસ્યાના કાયમી નિરાકરણ માટે વર્ષ 2023ની નવી નીતિ બનાવી દીધી છે. આ નવી નીતિને સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની વિચારણામાં મુકાઈ છે અને તેની સત્તાવાર મંજૂરી મળ્યા બાદ તેનો અમલ શરૂ કરાશે.

કન્ફર્મેશન મળ્યું હશે તેને જ કોલલેટર મળશે
ગુજરાતમાં તલાટીની પરીક્ષા આગામી 7મી મેના રોજ યોજાશે. તે પહેલાં પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે પત્રકાર પરિષદ કરીને ઉમેદવારોને સમયસર કન્ફર્મેશન આપવા માટે અપીલ કરી હતી. કન્ફર્મેશન આપવાનો છેલ્લો દિવસ 20 એપ્રિલ હોવાથી જેટલા લોકોએ કન્ફર્મેશન આપ્યું હશે તેટલા લોકોને જ પરીક્ષા આપવા દેવાશે. તેમણે કહ્યું હતું કે ઉમેદવારોને 12.30 વાગ્યે જ પ્રશ્નપત્ર આપવામાં આવશે. હસમુખ પટેલે કહ્યું હતું કે, તલાટીની પરીક્ષા પહેલાં અત્યાર સુધીમાં 6 લાખ જેટલા લોકોએ કન્ફર્મેશન આપ્યાં છે. જે લોકોએ હજી પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેવા ઉમેદવારોએ છેલ્લી ઘડીની રાહ ના જોવી જોઈએ અને ઝડપથી કન્ફર્મેશન આપવું જોઈએ. કોલલેટરને લઈને તેમણે કહ્યું હતું કે, ઉમેદવારોને હોલ ટિકિટ પરીક્ષાના 8થી 10 દિવસ પહેલાં આપવાના શરૂ કરાશે. જે લોકોએ કન્ફર્મેશન આપ્યું છે તેમની જ હોલ ટિકિટ ડાઉનલોડ થશે.

ડમીકાંડ મામલે તપાસનો ધમધમાટ પૂરજોશમાં
ભાવનગર ડમીકાંડ મામલે પોલીસ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે અને જેને લઈ એક પછી એક ખુલાસા પણ સામે આવી રહ્યા છે. ડમીકાંડ મામલે ભાવનગર પોલીસની કામગીરી પર સવાલ ઊઠી રહ્યા છે. જે ડમી ઉમેદવાર મિલન બારૈયાની પૂછપરછ બાદ પણ ધરપકડ કરાઈ નથી તેમજ મિલન પર FIRમાં 7 વખત ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હોવાનો આરોપ થયેલો છે. તમને જણાવી દઈએ કે, ફિલિપાઈન્સના મેડિકલના વિદ્યાર્થીની મિલન બારૈયાએ પરીક્ષા આપી હતી તેમજ ધોરણ-12ના ફિઝિક્સની દેવર્ષિની પણ મિલને પરીક્ષા આપી હતી જેમાં દેવર્ષિના પિતાએ પી.કે.ના મારફતે મિલનનો સંપર્ક કર્યો હતો. જે સમગ્ર ઘટનાને લઈ FIRમાં નામ હોવા છતાં પોલીસે પૂછપરછ કરીને જવા દેતા વર્તમાનાં સવાલ ઊઠી રહ્યા છે. ડમીકાંડની ફરિયાદને 4 દિવસ વિત્યા છતાં મિલનની ધરપકડ કરાઈ નથી. મિલન બારૈયાએ અન્ય જિલ્લામાં પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી છે તેમજ પૈસા લઈને ડમી ઉમેદવાર તરીકે મિલન બારૈયા પરીક્ષા આપતો હતો. જે ડમીકાંડ મામલે પોલીસે 36 લોકો સામે ફરિયાદ નોંધી છે. અત્યાર સુધી માત્ર 6 આરોપીઓની ધરપકડ થતાં પોલીસની કામગીરી પર સવાલ ઊઠી રહ્યા છે. નામ, સરનામાં હોવા છતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં નિવેદન આપ્યું છે. ત્યારે એડવોકેટ જનરલે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે હવે આ કેસને પૂર્ણવિરામ આપવું જોઈએ. મોરબી નગરપાલિકા અસક્ષમ હોવાથી સુપરસીડ કરાઈ છે. ત્યારે જયસુખ પટેલના વકીલે પણ હાઈકોર્ટમાં નિવેદન આપતા કહ્યું હતું કે, મૃતકોનાં પરિવારજનોને વળતર ચૂકવવામાં આવ્યું છે. તેમજ આરોપી ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરી જેલમાં છે. ત્યારે હવે જાહેરહિતની અરજી ચાલુ રાખવી જોઈએ નહી. એડવોકેટ જનરલ અને આરોપીના વકીલની દલીલમાં હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે કેસની તપાસ ચાલુ જ રહેશે. તેમજ તબક્કાવાર રીતે તેમાં જરૂરી પગલાં લેવાશે. લીગલ એઈડમાં જમા કરાવેલી ધનરાશિ મૃતકોનાં પરિવારજનો અને પીડિતોને ચૂકવવાનું હાઈકોર્ટે કહ્યું હતું. ત્યારે વધુ સુનાવણી 14 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટની સુનાવણી બાદ પીડિત પક્ષના વકીલ ઉત્કર્ષ દવેએ કહ્યું હતું કે, સરકાર અને જયસુખ પટેલના વકીલે અરજી પર સુનાવણી બંધ કરવાની રજૂઆત કરી છે. ત્યારે અમે આગામી સુનાવણી દરમિયાન કેટલીક માંગ કરીશું. અગાઉ જયસુખ પટેલના વકીલે કેટલાક અધિકારીઓના પ્રેસરની વાત કરી હતી. અત્યાર સુધી આ અધિકારીઓ અંગે કોઈ દલીલો થઈ નથી. આગામી સુનાવણીમાં અમે આ અધિકારીઓ કોણ છે એ અંગે દલીલ કરીશું.

ભરઉનાળે વરસાદી મોહાલ
સુરતના માંગરોળ અને લિંબાયત તાલુકાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. માંગરોળ અને લિંબાયતમાં ભરઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે. બન્ને તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચૈત્ર મહિનાના અંતમાં અષાઢી માહોલ છવાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. ખેતીના વિવિધ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આજે બપોરના 12 વાગ્યા પછી સુરતના લિંબાયત અને માંગરોળનું વાતાવરણ પલટાયું હતું. તાલુકાના વાંકલ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. એક તરફ વરસાદ પડતા વાતાવરણમાં થોડી ઠંડક છવાઈ ગયેલ છે. તો બીજી બાજુ કમોસમી વરસાદને કારણે પાકમાં મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 24 કલાકમાં વરસાદી માવઠાની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદના અમુક વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

લીલિયાના ભાભા માર્કેટિંગ યાર્ડમાં આગની ઘટના
રાજ્યમાં આગ લાગવાની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન લીલિયાના ભાભા માર્કેટિંગ યાર્ડમાં આગની ઘટના સામે આવી છે. યાર્ડમાં રહેલ કપાસમાં અચાનક આગ લાગી અને સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. કામ કરી રહેલ વ્યક્તિના હાથમાં રહેલ ઇલેક્ટ્રિક બોર્ડમાં આગ લાગી અને બોર્ડ કપાસ તરફ ફેંકતા કપાસમાં આગ લાગી ઊઠી હતી. આ શું થઈ ગયું વિચારે એટલીવારમાં આગે કપાસને બાનમાં લીધો હતો.લીલિયા મોટા ખાતે ભાભા માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ પોતાનો કપાસ વેચવા માટે કપાસ શેડમાં રાખ્યો હતો. લીલિયા ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળીમાં ચણાની ગૂણી ભરવાનું કામ કરતા મજૂર ચણાની ગૂણીમાં સિલાઇ કામ કરવા ઇલેક્ટ્રિક બોર્ડ હાથમાં લઇને ગૂણી તરફ જતો હતો. તે દરમિયાન અચાનક તેના હાથમાં રહેલ ઇલેક્ટ્રિક બોર્ડમાં શોર્ટ સર્કિટ થતાં બોર્ડનો ઘા થઇ જતા કપાસના ઢગલા ઉપર પડ્યું હતું. આ બોર્ડમાંથી તીખારો પડતા અકસ્માતે આશરે 55 મણ જેટલો કપાસ સળગી ખાખ થઈ ગયો હતો. સિલાઈકામ કરવા ઇલેક્ટ્રિક બોર્ડ હાથમાં લેતાં મજૂરના હાથમાં તિખારો પડ્યો હતો. અને ઇલેક્ટ્રિક બોર્ડ કપાસ પર ઘા થતાં જ કપાસ ભડભડ સળગી ઊઠયો હતો. ત્યારે મજૂર પોતાના હાથથી આ કપાસ દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ કંઇ હાથ આવ્યું નહીં અને પળવારમાં આગ કપાસમાં પ્રસરી ગઈ. જોકે બાકીના લોકોએ આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
