નડિયાદએક કલાક પહેલા
- કૉપી લિંક
નડિયાદમાં પાલિકા દ્વારા જુદાજુદા ટેક્સ દરમાં તોતીંગ વધારો કરાયો છે. જે મામલે શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો છે. નડિયાદ નગરપાલિકાએ નિયમ વિરુદ્ધ ટેક્સ વધારવાનો નિર્ણય સામે પોતાનો વિરોધ દર્શાવી પ્રજાને પરવડે તેવા ટેક્સ રાખવા માંગ કરી છે.
મોંઘવારીને ધ્યાનમાં રાખીને નક્કી કરવા જોઇતા હતા
મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપ્યું હતું. તેમાં જણાવ્યું છે કે, ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ નગરજનોની કેટલીક પ્રાથમિક જરૂરિયાતો પૈકી પાણી પૂરું પાડવુંએ નગરપાલિકાની પ્રાથમિક ફરજ અને જવાબદારી બને છે. નગરજનો જાણે છે કે, નગરપાલિકા તેની આ ફરજ અને જવાબદારી નિભાવવા નગરજનો પાસેથી વાર્ષિક ધોરણે પાણી વેરો વસૂલ કરે છે.પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતાં અમે સૌ માનીએ છીએ કે, નગરપાલિકાના સત્તાધીશોએ પાણી વેરાના દર છેવાડાના નાનામાં નાના માણસોની આર્થિક સ્થિતિ તેમજ મોંઘવારીને ધ્યાનમાં રાખીને નક્કી કરવા જોઇતા હતા.
રાજ્ય સરકારને વેરા વધારાની દરખાસ્ત મંજુરી અર્થે મોકલી આપી
આ કારમી મોંધવારીમાં વેરાના દરો વધારવાનું ટાળવું જોઇએ તેને બદલે નડીઆદ નગરપાલિકાના સત્તાધીશો છેવાડાના નાનામાં નાના માણસોની આર્થિક સ્થિતિ તેમજ મોંઘવારી વગેરે બાબતોને ધ્યાનમાં લીધા વગર કે નગરપાલિકાના બિનજરૂરી વહીવટી ખર્ચમાં કાપ મુકયા વગર વેરાના દરો વધારવાનું અવિચારી પગલું ભરી નડીઆદ શહેરની પ્રજાનો દ્રોહ કરી રહયા છે. તેથી નડીઆદ નગરપાલિકાના સત્તાધીશોએ ખાસ પાણી વેરો તથા સામાન્ય પાણી વેરાના નિયમો – 2023 હેઠળ ખાસ પાણી વેરો તથા સામાન્ય પાણી વેરાની સાથોસાથ વ્યવસાય વેરાના દરો બમણાં કરવાનું અને દર બે વર્ષે આપોઆપ દસ ટકાનો ઉત્તરોત્તર વધારો સૂચવ્યો છે અને રાજ્ય સરકારને વેરા વધારાની દરખાસ્ત મંજુરી અર્થે મોકલી આપી છે.
વેરા વધારાની દરખાસ્ત નામંજૂર કરવા માંગણી કરી
વધુમાં જણાવ્યું છે કે, પાણીના મીટર મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે, તે મીટર મૂકવાનો ખર્ચ પ્રજાના જોડેથી અલગથી વસુલવામાં આવનાર છે અને પાણી વપરાશના લીટર દીઠ વેરો વસૂલ કરવામાં આવનાર છે. આમ, આવનાર સમયમાં પાલિકા દ્વારા પ્રજાની આર્થિક રીતે કમર તોડી અલગ અલગ વેરાઓનો બોજ નાખવામાં આવનાર છે તેનો નડીઆદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ નડીઆદ શહેરના છેવાડાનાં નાનામાં નાના માણસોની આર્થિક સ્થિતિ તેમજ અસહ્ય મોંઘવારીથી પિડાતા નગરજનોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વેરાના દરોનો સખત વિરોધ કરે છે અને નડીઆદ નગરપાલિકાના સત્તાધીશોએ સૂચવેલા વેરા વધારાની દરખાસ્ત નામંજૂર કરવા માંગણી કરી છે.