Wednesday, April 19, 2023

અમદાવાદના સ્મશાન ગૃહોમાં વજન કાંટો નથી, લોખંડની ઘોડીમાં પણ ફેરફાર કરાતાં કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા સૂચના | Ahmedabad crematoriums do not have weighing forks, notice to take action against contractor for changing iron easel too | Times Of Ahmedabad

અમદાવાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાનગૃહોમાં મૃતકોની અંતિમ વિધિ માટે લાકડા પુરા પાડવાથી લઈને સંચાલન સુધીની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. જે કોન્ટ્રાક્ટર દ્વારા સ્મશાનોમાં લાલિયા વાડી ચલાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. સ્મશાનોમાં થતા કૌભાંડ અંગે માહિતી મળ્યા બાદ ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સ્મશાન ગૃહોમાં જાતે જઈને તપાસ કરવામાં આવી હતી જેમાં ઘટસ્ફોટ થયો હતો કે ક્યાંય પણ લાકડાના વજન માટે વજન કાંટો હતો જ નહી. જે પણ લોખંડની ઘોડી આવેલી છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્મશાન ગૃહના અધિકારી અને ત્યાંના નોંધણી કરનાર વ્યક્તિ પર ગુસ્સે ભરાયા હતા અને અધિકારીને તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી.

વિજિલન્સ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ
બીજી તરફ સ્મશાન ગૃહોમાં ચાલતા કૌભાંડ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આજે જમાલપુરના સ્મશાનમાં વિજિલન્સ વિભાગ દ્વારા લોખંડની ઘોડીઓના માપ લઈ અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. વિજિલન્સ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. તમામ સ્મશાન ગૃહોમાં આ મામલે તપાસ કરી અને કાર્યવાહી કરવા માટેની સૂચના પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આપવામાં આવી છે.

વજન કાંટો પણ ક્યાંય જોવા મળ્યો ન હતો
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, સ્મશાનોમાં ચાલતા કૌભાંડ અંગેની જાણ થયા બાદ આજે શહેરના વસ્ત્રાલ, જમાલપુર સહિત વિવિધ સ્મશાન ગૃહોમાં જાતે જઈ અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતકોની અંતિમવિધિ માટે જે લાકડા આપવામાં આવે છે તે લાકડા માટેનો વજન કાંટો પણ ક્યાંય જોવા મળ્યો ન હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લોખંડની ઘોડી બનાવીને આપવામાં આવેલી છે તેમાં ફેરફાર માત્ર એન્જિનિયરિંગ વિભાગની દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથ કર્મચારીઓ અને તેના કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માટેની સુચના આપી છે. વિજિલન્સ વિભાગ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરાઇ છે. કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ કરી બ્લેક લિસ્ટ કરવા સુધીની કાર્યવાહી પણ કરાશે.

ડિઝાઇન બદલી અને ઓછા લાકડા વપરાય તેવો પ્રયાસ
મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્મશાન ગૃહોમાં જયશ્રીકૃષ્ણ સેવા સંઘ અને સંભવ સેવા સંઘના નામની સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સ્મશાન ગૃહોમાં આ સંસ્થાઓ દ્વારા જે અંતિમવિધિ માટે લોખંડની ધોડીઓ રાખવામાં આવી છે તેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જાણ બહાર જ ડિઝાઇન બદલી અને ઓછા લાકડા વપરાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. સ્મશાનગૃહમાં આવી ખુબ જ ફરિયાદો મળતાં અત્યાર સુધીમાં 15 નોટિસો આપી છે. જેની સંસ્થાઓ દ્વારા અવગણના કરાઈ છે. સંસ્થાઓને બ્લેકલીસ્ટ કરવા બાબતે તંત્ર દ્વારા બે વાર દરખાસ્ત હેલ્થ કમિટીમાં મૂકી છતાં સત્તાધારી ભાજપની માનીતી સંસ્થા હોવાના કારણે બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્તને પરત કરી દેવામાં આવી હતી.

બંને સંસ્થાઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે
વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, સંસ્થાઓને 15 વાર નોટિસો આપેલી હોય તથા બે વાર બ્લેકલીસ્ટ કરવાનું કામ આવ્યુ હોય તેવી વિવાદીત અને ખરડાયેલ સંસ્થાઓને સત્તાધારી ભાજપ દ્વારા શા માટે છાવરવામાં આવે છે? કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવે છે કે આ બંને સંસ્થાઓને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે.

12 સ્મશાનગૃહોમાં લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાકટ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં મૃતકોની અંતિમવિધી માટે કુલ 24 સ્મશાનગૃહોનું સંચાલન કરવામાં આવે છે. તે સ્મશાનગૃહોમાં મૃતકની અંતિમવિધી માટે લાકડા પણ પુરા પાડવામાં આવે છે તે લાકડા પુરા પાડવા માટે જયશ્રી કૃષ્ણ સેવા સંઘ અને સમભાવ સેવા સંઘનામની સંસ્થાઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. દરેક સંસ્થાઓને 12 સ્મશાનગૃહોમાં લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાકટ મળ્યો છે. કોન્ટ્રાકટરો દ્વારા પ્રતિ વ્યક્તિ રૂ. 799 ચાર્જ વસુલ કરવામાં આવે છે. જ્યારે ખરેખર તો કોન્ટ્રાકટની શરત મુજબ એક મૃતકની અંતિમવિધી માટે અંદાજે 240થી 280 કિલો લાકડા પુરા પાડવાના હોય છે.

નાણાં પડાવીને ભષ્ટ્રાચાર કરવામાં આવે છે
સંસ્થાઓ દ્વારા અંતિમવિધી માટે લોંખડની ઘોડી સંસ્થાઓ દ્વારા સાંકડી બનાવીને મૃતકની અંતિમવિધી કરવામાં આવી આવે છે. જેને કારણે અંદાજે માત્ર 100થી 125 કિલો લાકડા વપરાય છે. બંને સંસ્થા દ્વારા પુરા લાકડા બતાવી પ્રજાજનો પાસેથી પુરેપુરા નાણાં પડાવીને ભષ્ટ્રાચાર કરવામાં આવે છે તેમજ બી.પી.એલ. કાર્ડધારક પાસેથી લાકડાના માત્ર 360 રૂપિયા જ લેવાના હોય છે તેમ છતાં તેઓ પાસેથી પણ પુરા નાણાં પડાવાય છે જેથી તે સંસ્થાઓ દ્વારા અંત્યત ગરીબ પછાત લોકોને પણ છોડયાં નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: