અમદાવાદ43 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવતી લોખંડની ઘોડીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલા ફેરફાર તેમજ વજનકાંટો ન રાખવામાં આવતાં હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. સ્મશાનગૃહોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ચલાવવામાં આવતી લાલિયાવાડી બાદ વાડજ વિસ્તારમાં આવેલા સ્મશાનમાં મૃતદેહની અંતિમવિધિ કરવા આવેલા સ્વજનો પાસેથી મજૂરી પેટે વધારાના 200 રૂપિયાની માગણી કરવામાં આવી હતી, જે અયોગ્ય હતી. આ ઉપરાંત વજનકાંટો પણ ન હોવાથી આ તમામ બાબતો અંગે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે.
કૌભાંડ ખુલ્યા પછી પણ નકકર કાર્યવાહીનો અભાવ
મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારી દ્વારા સમભાવ સેવા સંઘ અને જયશ્રી કૃષ્ણ સંસ્થાને બ્લેક લિસ્ટ કરવાની અગાઉ દરખાસ્ત લાવવામાં આવી હતી પરંતુ, ભાજપનાં સત્તાધીશો દ્વારા તેને પરત મોકલવામાં આવી હતી અને હવે કૌભાંડ સામે આવ્યા બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ રીતે અનેક સ્મશાન ગૃહોમાં લાકડા ગોઠવવા માટે પૈસાની માંગણી કરાઈ છે કે નહી, તે અંગે તપાસ શરૂ કરાઇ છે.
બંને કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા
હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, વાડજ સ્મશાનગૃહમાં વજનકાંટો ન હતો અને વધારાના પૈસાની માગણી કરાઈ હતી. તેને લઈને આજે કોન્ટ્રાક્ટરને નોટીસ આપવામાં આવી છે અને તેની પાસે ખુલાસો માગવામાં આવ્યો છે. બંને કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા છે જેથી નવા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તેનું બીડ ખુલી ગયું છે. આગામી દિવસોમાં ઝડપથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે.
કોન્ટ્રાક્ટરોનું વિવાદાસ્પદ સંચાલન
AMCના તમામ 24 સ્મશાનગૃહમાં બે કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપવામાં આવી છે. તે બંને કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયા છે તેમછતાં પણ છેલ્લા દસ દિવસથી તેઓ આ સ્મશાનગૃહનું સંચાલન કરી રહ્યા છે. જ્યારે કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે છતાં પણ તેઓ હાલ જ્યાં સુધી નવો કોન્ટ્રાક્ટર નહીં આવે ત્યાં સુધી કામગીરી કરશે. બંને કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ આ બંને કોન્ટ્રાક્ટર જેઓ હવે સ્મશાનગૃહના સંચાલનમાં વિવાદમાં આવ્યા છે છતાં પણ તેઓને ચાલુ રાખવામાં આવ્યા છે.