જૂનાગઢએક મિનિટ પહેલા
- કૉપી લિંક

- સમયસર સારવાર ન થવા મામલે તબીબે કહ્યું- ગર્ભમાં બાળકનું મોત થયું હોય રિપોર્ટ કરાવવા જરુરી હતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વીરપુરથી સારવાર માટે આવેલી એક સગર્ભા મહિલાની સમયસર સારવાર ન કરી ગાયનેક વિભાગના સ્ટાફે ઉડાઉ જવાબ આપ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મહિલાના ગર્ભમાં જ બાળકનું મોત થઈ જતા તાત્કાલીક જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, અહીં આવ્યાના કલાકો બાદ પણ સારવાર ન થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ ગાયનેક વિભાગના તબીબે કહ્યું હતું કે, સારવાર માટે મહિલાના જરુરી રિપોર્ટ કરાવવાના હોવાના કારણે સમય લાગ્યો હતો. મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી દેવામાં આવી છે.

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ગઈકાલે વીરપુરથી એક સગર્ભા મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. મહિલાના ગર્ભમાં બાળકનું મોત થઈ ગયું હોય તાત્કાલિક સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગાયનેક વિભાગમાં સગર્ભા મહિલાની સમયસર સારવાર કરવામાં ન આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો.

હોસ્પિટલ પર હોબાળાના પગલે ગાયનેક વિભાગના ડો. કે.પી.ગઢવી હોસ્પિટલ પર પહોંચ્યા હતા. ડો. ગઢવીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સગર્ભા મહિલાને તેમના પરિવારજનો બપોરે દોઢ વાગ્યે હોસ્પિટલ પર લાવ્યા હતા. ત્યારબાદ તેના જરુરી રિપોર્ટ કરવામાં આવ્યા હતા. અન્ય રિપોર્ટ પ્રાઈવેટ લેબોરેટરીમાં કરાવવામાં આવ્યા હતા. સગર્ભા મહિલાના પેટમાં જ બાળકનું મોત થયું હોય જરુરી રિપોર્ટ કરાવવા જરુરી હતા. સાંજે રિપોર્ટ આવ્યા બાદ જૂનાગઢમાં સારવાર શક્ય હોવાના કારણે અમે અહીં તેની ટ્રીટમેન્ટ કરી હતી અને મહિલાની નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફે ઉદ્ધત વર્તન કરવાનો જે આક્ષેપ કરાયો છે તે અંગે તપાસ કરવાની વાત કરવામાં આવી હતી.