અમદાવાદ38 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી મોટા પ્રોજેક્ટ એવા ખારીકટ કેનાલના 1200 કરોડના પ્રોજેક્ટમાં ભવિષ્યમાં જો કોઈ ગુણવત્તાથી લઈ અને અન્ય પ્રશ્ન ઊભા થાય તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને પેનલ્ટી કરવાની શરતો ન મૂકતા કંપનીને કામ આપવાની દરખાસ્ત વોટર કમિટિ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
ફાઇલ પરત મોકલવામાં આવી
વોટર સપ્લાય કમિટી ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, 1200 કરોડના ખારીકટ કેનાલ પ્રોજેક્ટ માટેના પાંચ તબક્કામાં હાથ ધરાનાર પ્રોજેક્ટ માટે થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનની કામગીરી કરનાર પાર્ટી એટલેકે PMCને પેનલ્ટી કરવા સહિતના પગલાં લેવા માટે ટેન્ડરમાં પેનલ્ટી ક્લોઝ શરત એટલે કે જો ભવિષ્યમાં કામગીરીને લઈ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન સામે પગલાં ભરવા ઉપરાંત તેની પાસેથી પેનલ્ટી તરીકે રકમ વસૂલવાની શરત અધિકારીઓ દ્વારા મૂકવામાં આવી ન હતી જેથી આ કામગીરીને આજે મંજૂરી આપવામાં આવી નથી અને ફાઇલ કમિશનર તરફ પરત મોકલવામાં આવી છે.
કન્સલ્ટન્ટ નિમવાની દરખાસ્ત બાકી રખાઈ
ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ મોનિટરિંગથી લઈ ક્વોલિટી કંટ્રોલ અને સુપરવિઝન માટે સિંગલ બિડર કંપનીની ટેન્ડરમાં ફક્ત રીટેન્શનમની માટેની શરત રાખવામાં આવી હતી. પરંતુ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટે જવાબદારી નક્કી કરી શકાય તે માટેની પેનલ્ટી ક્લોઝ- શરત રાખવામાં આવી ન હતી. એટલે કે, જો કોઈ ખામી જણાય તો પેનલ્ટી કેટલી કરવી તે અંગેની કોઈ સ્પષ્ટતા કરાઈ નહોતી જેથી અગાઉ મળેલી વોટર કમિટીમાં કન્સલ્ટન્ટ નિમવાની દરખાસ્તને બાકી રાખવામાં આવી હતી.
જવાબદારીમાંથી છટકવાનો માર્ગ મોકળો કર્યો
શહેરના પૂર્વ વિસ્તારનાસૌથી મોટા પ્રોજેકટ એવા 1200 કરોડના ખારીકટ કેનાલ પ્રોજેક્ટમાં જો ગુણવત્તાના બાંધકામથી લઈ અને મોનિટરિંગમાં કોઈ ભૂલ થાય તો થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરનારની કોઈ જવાબદારી નક્કી નહીં કરીને PMCને જવાબદારીમાંથી છટકવા માટેનો માર્ગ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મોકળો કરી આપ્યો હોવાનું સ્પષ્ટ જણાતું હતું. આ પ્રકારે કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓએ થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન – PMC કંપની ટીટીઆઈ કન્સલ્ટીંગ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડને પહેલાથી જ બચાવવા અને છાવરવા માટેના ઈરાદા સાથેના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ વોટર કમિટીના ચેરમેન દ્વારા આ કામગીરીને મંજૂરી આપવામાં આવી ન હતી.
અમરાઈવાડીમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો
બીજી તરફ આજે મળેલી વોટર કમિટીમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી વિસ્તારમાં પ્રદૂષિત પાણીની ફરિયાદોની ચર્ચા કરવામાં આવી હતી. અમરાઈવાડીના ઓમ નગર રામનગર ભીલવાડ સહિતના વિસ્તારમાં પ્રદૂષિત પાણીની ફરિયાદો આવતી હતી જેથી આ તમામ જગ્યાએ ઇજનેર વિભાગના અધિકારીઓને ડિસિટિંગ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. અમરાઈવાડી વોર્ડના બાજુમાં જ આવેલા ઇન્દ્રપુરી વોર્ડમાં પણ ઓછા પાણીથી પ્રેસર આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી જેથી ત્યાં પણ તપાસ કરી અને કામગીરી ઇ સુચના અપાઈ છે.