દાહોદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે ત્યારે કેટલાક તાલુકામા કમોસમી અમીછાંટાઓ અને કમોસમી વરસાદ પડ્યો હતો. જેના પગલે થોડાક અંશે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જયારે દાહોદમાં છાંટા પડતા જ અનાજ માર્કેટમા વેપારીઓએ ખુલ્લા અનાજને ઢાંકવાની તજવીજ હાથ ધરી હતી.
ખેડૂતો સાથે વેપારીઓ પણ ચિંતાગ્રસ્ત થયા
દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસના સમયગાળા દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. ગતરોજ મોડી રાત્રીના સમયે કમોસમી વરસાદ પડ્યો હતો. વહેલી સવારે પણ અમીછાંટાઓ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના પગલે દાહોદ એપીએમસી ખાતે વહેલી સવારના સમયે વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. અનાજનો કેટલોક જથ્થો પણ પલળી ગયો હતો. ત્યારે બીજી તરફ ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાઈ ગયા હતા. વાદળછાંયા વાતાવરણ વચ્ચે અસહ્ય ગરમીથી મહદઅંશે લોકોને રાહત મળી હતી.
દાહોદમા ઠેર ઠેર માંગલિક પ્રસંગો હોવાથી ચિંતા
દાહોદ શહેરમાં આજથી માંગલિક પ્રસંગો શરુ થઈ રહ્યા છે.જેથી તેવા પરિવારોમા પણ ચિંતાના વાદળ ઘેરાયા છે.આખુયે અઠવાડિયુ પ્રસંગોની ભરમાર છે ત્યારે આજે બપોરે છાંટા શરુ થતા જ લોકો ચિંતાતુર થયા હતા.તેમાયે સંજેલી અને ફતેપુરામા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.આગામી દિવસોમા હવે માવઠા થશે કે પાછી ગરમી દઝાડશે તે હાલ કહી શકાય તેમ નથી.