સુરત2 કલાક પહેલા
- કૉપી લિંક
મનપાના વોર્ડ નંબર પાંચમાં પીવાનું દૂષિત પાણી આવતા બુમરાણ ઉઠી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. તેને લઈને કેટલીક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરિયાદ આવી રહી છે. વોર્ડ નંબર 5ને સોસાયટીઓમાં છેલ્લા પાંચ દિવસથી સતત દુર્ગંધ અને જીવાત વાળો પાણી આવતા લોકોએ મહાનગરપાલિકામાં ફરિયાદ કરી છે.
પાણીમાં લાલ કલરની જીવાત નીકળતા લોકોમાં ડર
વોર્ડ નંબર 5 અશ્વનીકુમાર- ફૂલપાડામાં આવેલ ધરમનગર, વિષ્ણુ નગર, સતાધાર અને સૌરાષ્ટ્ર સોસાયટીઓમાં પીવાનું પાણી વાસ મારતું હોવાની ફરિયાદ ઉઠી છે.લાલ કલરની જીવાતો આવતી હોવાની હોવાનું જણાય આવ્યું છે. ઘણી બધી સોસાયટીઓમાં એકસરખી સમસ્યાઓ સામે આવી છે. લોકોને પીવાનો પાણી પણ સારું મળી રહ્યું નથી.
પાણી પીવા માટે વેચાતું લાવવાની ફરજ પડી
સ્થાનિક રહેવાસી દિલીપ અંટાળાએ જણાવ્યું કે, અમારી સોસાયટીમાં છેલ્લા પાંચ દિવસથી સતત દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે. વોર્ડ નંબર 5માં આ સમસ્યા સતત વધી રહી છે. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતી. તેમણે અહીં સેમ્પલ લેવાના શરૂ કર્યા છે. પરંતુ, હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી. આજે અમારા સ્થાનિક કોર્પોરેટર ફરી એકવાર કર્મચારીઓ સાથે આવીને અલગ અલગ ઘરમાંથી સેમ્પલ લીધા છે. તેમણે કહ્યું છે કે, બે દિવસમાં અમારી સમસ્યાનો ઉકેલ લાવશે. અહીં પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, પીવાનું પાણી હવે વેચાતું અમારે બહારથી ફરજિયાત લાવવું પડે તેમ છે. કારણ કે આજે પાણી આવે છે. તે ખરેખર ખૂબ જ દુર્ગંધ વાળું અને દૂષિત હોય છે.
રોગચાળાની સ્થિતિ ઊભી ન થાય તે જરૂરી
સ્થાનિક કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું કે, અમારા વિસ્તારના લોકો દ્વારા મને ફરિયાદ કરતાની સાથે જ હું કેટલીક સોસાયટીઓમાં પોતે ગઈ હતી. મહાનગરપાલિકાના કર્મચારીઓને પણ લઈ ગઈ હતી. જ્યાં સેમ્પલ લેતા સ્પષ્ટ જણાઈ આવ્યું કે, પાણીમાં લાલ કલરની જીવાત દેખાય છે અને પાણી દુર્ગંધ પણ મારી રહ્યું છે. અલગ અલગ સોસાયટીમાં હું પોતે ગઈ ત્યારે માલુમ પડ્યું કે, અહીં લોકો ઝાડા ઊલટીથી પણ ત્રસ્ત છે. આવી સ્થિતિમાં આ સોસાયટીઓની અંદર રોગચાળો ન ફેલાય તે માટે તાત્કાલિક અસરથી લોકોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાકીદે રજૂઆત કરી છે.