Tuesday, April 18, 2023

ડમીકાંડ મામલે તપાસ કરી રહેલી ભાવનગર પોલીસે સમન્સ પાઠવ્યું, બિપીન ત્રિવેદીએ પૈસા લેવાનો આક્ષેપ કર્યો હતો | Bhavnagar police investigating the dummy case summons to appear, Bipin Trivedi money on Yuvraj Singh | Times Of Ahmedabad

ભાવનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા ડમીકાંડ મામલે રોજબરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર પૈસા લેવાનો આક્ષેપ કરાયા બાદ યુવરાજસિંહનું નિવેદન લેવા માટે ભાવનગર પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. યુવરાજસિંહને આવતીકાલે બપોરે 12 વાગ્યે ભાવનગર એસઓજી કચેરીએ જવાબ આપવા હાજર રહેવા કહેવામાં આવ્યું છે.

ભાવનગર પોલીસે પાઠવેલું સમન્સ

ભાવનગર પોલીસે પાઠવેલું સમન્સ

યુવરાજસિંહને પોતાનો પક્ષ રજૂ કરવા બોલાવાયા
ભાવનગર પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને CRPC કલમ 160 મુજબ સમન્સ પાઠવવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ દરમિયાન પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન પ્રાપ્ત થયેલી હકીકત મુજબ તમોએ પ્રેસકોન્ફરન્સમાં કેટલીક વ્યકિતઓના નામો નહીં આપવા બાબતે કેટલાક નાણાકીય વ્યવહારો કર્યા હોવાના આક્ષેપો સંદર્ભે તમારો પક્ષ રજૂ કરવા માટે 19 તારીખે બપોરે 12 વાગ્યે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ઈન્સપેક્ટરની કચેરીએ હાજર રહેવું.

5મી એપ્રિલે યુવરાજસિંહે ડમીકાંડનો આક્ષેપ કર્યો હતો
5મી એપ્રિલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી ગુજરાત શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસાડવાનું કૌભાંડ ચાલતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં ડમીકાંડમાં સંડોવાયેલા ચાર નામો પણ જાહેર કરવામાં આવ્યા હતા.

ડાબેથી બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ

ડાબેથી બિપીન ત્રિવેદી અને યુવરાજસિંહ

બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લીધાના આક્ષેપ કર્યો હતો
14મી એપ્રિલે ભાવનગર પોલીસ દ્વારા 36 લોકો સામે ડમીકાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના બીજા દિવસે યુવરાજસિંહના જૂના સાથી એવા બિપીન ત્રિવેદી દ્વારા એક વીડિયો વાઈરલ કરી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ડમીકાંડમાં ચોક્કસ વ્યકિતને લઈ યુવરાજસિંહે 55 લાખમાં ડીલ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, યુવરાજસિંહ દ્વારા બિપીન ત્રિવેદીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવવામાં આવ્યા હતા.

ડમીકાંડ મામલે અત્યાર સુધીમાં શું થયું?
ડમીકાંડનું સમગ્ર પ્રકરણ 5મી એપ્રિલે યુવરાજસિંહની પ્રેસ કોન્ફરન્સ બાદ ચર્ચામાં આવ્યું હતું. ત્યારબાદ ભાવનગર પોલીસ દ્વારા 14મી એપ્રિલે 36 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. 15મી એપ્રિલે શરદ પનોત, પી.કે. દવે, બળદેવ રાઠોડ અને પ્રદીપ બારૈયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 17 એપ્રિલે અક્ષય બારૈયા અને સંજય પંડ્યાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજે મિલન બારૈયાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાની તપાસ માટે ભાવનગર પોલીસે બનાવેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીની ધરપકડ કરી ચૂકી છે. જ્યારે 29 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.

અન્ય સમાચારો પણ છે…