કચ્છ (ભુજ )4 મિનિટ પહેલા
- કૉપી લિંક

કચ્છમાં આજે સતત બીજા દિવસે વાતવરણમાં પલટો આવ્યો છે અને અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે. આજે ભુજ અને તાલુકાના માધાપર, માનકુવા કોટડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે તો અંજાર તાલુકાના ચાંદરોડા નજીક ભારે પવન ફૂંકાતા આંધી સર્જાઈ હતી. લોકોએ પવનથી બચવા દોડધામ કરી મૂકી હતી. જ્યારે નજીકના ગાંધીધામ અને કંડલા સંકુલમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો અને હળવા ઝાપટા પડ્યા હતા.

હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ આજે કચ્છના આકાશમાં ફરી વાદળછાયું વાતવરણ સર્જાઈ ગયું હતું. ભુજ શહેરમાં બપોરે એકાએક ભારે ગાજવીજ સાથે છાંટા પડ્યા હતા. તો તાલુકામાં અનેક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા માર્ગો ભીના બન્યા હતા તો ક્યાંક પાણી પણ વહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વરસાદી માહોલ સર્જાતા ભુજમાં ચાલી રહેલા દ્વિશતાબ્દી મહોત્સવમાં થોડીવાર માટે ભાવિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. જોકે થોડીવારમાં તડકો નીકળી આવતા રાહત ફેલાઈ હતી. ગાંધીધામ આદિપુર અને કંડલા વિસ્તારમાં છુટા છવાયા છાંટા પડ્યા હતા.
