પોરબંદર9 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્ય સહિત દેશભરમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા અને સમાજ સુધારક ડૉ. બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોરબંદર શહેર સહિત જિલ્લા ભરમાં આંબેડકરની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પોરબંદર શહેર ખાતે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને વંદન કરી પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે પૂર્વ ધારાસભ્ય બાબુ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરા, પૂર્વ પ્રમુખ કિરીટ મોઢવાડીયા સહિત યુવા મોરચા, મહિલા મોરચા સહિત જુદાજુદા મંડળોના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
તો બીજી તરફ પોરબંદર શહેરમાં અનુસુચિત જાતિ સમાજ આયોજિત ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા પણ જોડાયા હતા. જ્યાં સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્યનું પુષ્પગુચ્છ આપી શોભાયાત્રામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જય ભીમના નારા લગાવ્યા હતા.
જ્યારે કુતિયાણા શહેર ખાતે પણ ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુતિયાણા શહેર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતા. ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.