સુરત37 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
સુરત શહેરનાં અઠવાગેટ વિસ્તારમાં રહેતી એક સંતાનની માતા થોડા સમય અગાઉ એક વેપારીના પરિચયમાં આવી હતી. બાદમાં આ વેપારીએ તેને કતારગામ પારસ ચોકીની પાછળ આવેલ દુકાનમાં મળવા માટે બોલાવી હતી. જ્યાં વેપારીએ ત્યક્તા પર દાનત બગાડી હતી અને દુકાનમાં બોલાવ્યા બાદ તેની છેડતી કરી હતી. વેપારીએ ત્યક્તા સાથે બળજબરીપૂર્વક શારીરીક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું. જો કે, મહિલા તેના તાબે નહી થતા તેણીને તથા તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને પગલે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ આદરી છે.
સંબંધીને ત્યાં આવતા પરિચય થયો હતો
અઠવાગેટ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય મહિલાનાં તેના પતિ સાથે છુટાછેડા થયા બાદ તેના સંતાન સાથે એકલી રહે છે. આ પહેલા પરિણીતા ચોકબજાર વિસ્તારમાં રહેતી હતી. તે વખતે તેના ઘર પાસે મનીષ સ્વરૂપચંદ્ર સંઘવી (રહે. ગંગા જમના એપાર્ટમેન્ટ અડાજણ પાટીયા) તેના સંબંધીને ત્યાં મળવા માટે આવતો હતો. તે વખતે તેનો પરિણીતા સાથે પરિચય થયો હતો અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા.
મળવા બોલાવી શારીરીક સંબંધો બાંધવા માટે દબાણ કરતો
સપ્ટેમ્બર 2022થી માર્ચ 2023 દરમિયાન મનીષ પરિણીતાને તેની સાથે શારીરીક સંબંધો બાંધવા માટે દબાણ કરતો હતો પરંતુ, પરિણીતા તેના તાબે થઈ ન હતી. થોડા દિવસ પહેલા વેપારીએ પરિણીતાને તેની કતારગામ પારસ પોલીસ ચોકીની પાછળ આવેલ દુકાન ખાતે મળવા માટે બોલાવી હતી. તે વખતે પણ શારીરીક સંબંધો બાંધવા માટે દબાણ કર્યું હતું. પરંતુ પરિણીતા તેના તાબે નહી તથા તેણીને અને તેના પુત્રને મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે પરિણીતા કંટાળીને ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ફરિયાદને આધારે મનીષ સંઘવી સામે છેડતીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.