રાજકોટ11 કલાક પહેલા
- કૉપી લિંક

મૃતકની ફાઈલ તસવીર
રાજકોટમાં CAનો અભ્યાસ કરતા યુવકે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં પોલીસ તપાસમાં યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તે ઘણા સમયથી માનસિક તણાવથી પીડાતો હતો. અને તેના જ કારણે તેણે આપઘાત કર્યો હોય તેવું બની શકે છે.
પરિવારમાં અરેરાટી મચી ગઈ
યુવાનોમાં ડિપ્રેશનને કારણે આપઘાતના બનાવ વધુ બનવા પામ્યા છે. મુખ્ય રીતે જોઈએ તો ઘરેલું અણબનાવ,કરિયરની ચિંતા,અભ્યાસની ચિંતા, સફળ થવાની ચિંતા,જીવનમાં આવતા ઉતાર-ચઢાવ,કામનું ભારણ અને ક્યારેક-ક્યારેક ગેરસમજણ અને અફવા વગેરેના કારણે પણ વ્યક્તિ તેનો શિકાર બને છે અને આત્મઘાતી પગલું ભરે છે ત્યારે રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલા મેહુલ નગરમાં રહેતા CAનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અભ્યાસના ડિપ્રેશનમાં આવી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી.
મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો
આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકના મહિલા એએસઆઈએ મૃતકના પરિવારનું નિવેદન લેવા તજવીજ આદરી છે. વધુ વિગતો મુજબ,કોઠારીયા રોડ પર મેહુલનગર-10માં રહેતા પાર્થ વિરલભાઈ ગોહેલ(ઉ.વ.20)એ આજે બપોરના સમયે પોતાના રૂમમાં જઇ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.તેમના પરિવારે રૂમનો દરવાજો ખટખટાવતા. તેણે દરવાજો ખોલ્યો નહોતો અને દરવાજો તોડી અંદર જોતા પાર્થનો મૃતદેહ લટકતી હાલતમાં જોઈ પરિવારે દેકારો કરી મુક્યો હતો.
ઘણા સમયથી ગુમસુમ રહેતો હતો
બાદમાં ભક્તિનગર પોલીસ તેમજ 108ને જાણ કરતા સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને પાર્થને નીચે ઉતારી જોઈ તપાસી ઇએમટીએ મૃત જાહેર કર્યો હતો. પાર્થ CAનો અભ્યાસ કરે છે.પોતે બહેનનો એકનો એક ભાઈ છે.પિતા દરજી કામ કરે છે.પોતે ઘણા સમયથી ગુમસુમ રહેતો હતો અને અભ્યાસના ડિપ્રેશનમાં આવી પગલું ભરી લીધનું પોલીસમાંથી જાણવા મળ્યું છે.યુવકના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે.