નડિયાદ44 મિનિટ પહેલા
- કૉપી લિંક
ખેડા-આણંદ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા તાડપત્ર રવિવાર “પામ સન્ડે” ની આજ રોજ ઉજવણી કરવામાં આવી છે. જેમાં વિવિધ સ્થળોએ ખ્રિસ્તી સમુદાય દ્વારા સરઘસ સ્વરૂપે તાડપત્ર સાથે ઈસુ ખ્રિસ્તનાં વિજય પ્રવેશનું પર્વ ઉજવવામાં આવ્યું હતું.

તાડપત્રના તહેવારની ઉજવણી પ્રસંગે આ અંગે ધર્મગુરુ ફાધર જીજ્ઞેશે જણાવ્યું હતું કે, ‘યરૂસાલેમમાં ઈશુનો વિજય પ્રવેશ’ અર્થાત ‘તાડપત્રનો રવિવાર’.આ દિવસે ઈશુએ ખોલકા ઉપર બેસીને પોતાની મૃત્યુયાત્રા ભણી પ્રયાણ આદર્યું. લોકોએ હાથમાં ખજૂરીના તાડપત્રો લઇ તેમનું એક રાજા તરીકે સ્વાગત કર્યું. ઇસુના સંઘર્ષ અને પછી મુક્તિ દાતાની ઓળખને આપણે ભૂલી જવા ન જોઈએ. ફાધર ટોનીએ જણાવ્યું હતું કે આપણે હમેશા સારી બાબતોમાં હાજરી આપીએ છીએ પરંતુ દુખદ ઘટનોઓથી દુર રહીએ છીએ.તે અયોગ્ય છે.કોઇપણ વ્યક્તિના દુઃખમાં આપણે સહભાગી બની સાચા માનવી તરીકેની જવાબદારી નિભાવવી જોઈએ.મૃત્યુ આવે તો તેને ઈશ્વરનું આયોજન સમજી સ્વીકાર કરવો જોઈએ.

ગુરુવાર, શુક્રવાર અને શનિવાર વર્ષના સૌથી પવિત્ર દિવસ ગણાય
નડિયાદમાં તાડપત્ર સાથે ખ્રિસ્તી પરિવારોએ જે.કે પાર્કથી સરઘસ નીકળ્યું હતું. જે એલિમ ચર્ચ માર્ગે થઇ ક્રીષ્ટ ધ કિંગ ચર્ચ પહોચ્યું હતું.જ્યાં ચર્ચમાં સંજયભાઈ વાઘેલા અને ડો. પ્રીતિ રાઠોડ દ્વારા ધર્મગુરુ ફાધર જીજ્ઞેશ સાથે “મહા પ્રસ્થાનનું “વાંચન કરાયું હતું. આ પર્વ સાથે પવિત્ર સપ્તાહમાં ખ્રિસ્તી પરિવારો પ્રાર્થનાને વિશેષ મહત્વ આપશે. જે ગુરુવાર બપોર સુધી ચાલશે અને બપોર બાદથી શનિવાર મધ્યરાત સુધી તમામ દેવાલયોમાં સતત દિવસ-રાત પ્રાર્થના ચાલશે. સપ્તાહના અંતિમ ત્રણ દિવસ ગુરુવાર, શુક્રવાર અને શનિવાર વર્ષના સૌથી પવિત્ર દિવસ ગણાય છે.

પવિત્ર સપ્તાહના પ્રારંભે ક્રાઇષ્ટ ધ કિંગ ચર્ચના ધર્મગુરુ ફાધર ટોની અને ફાધર નટુએ જણાવ્યું હતું કે, ખ્રિસ્તીજનો 40 દિવસ ઉપવાસ કરે છે. ઈસુખ્રિસ્તે માનવજાત માટે બલિદાન આપ્યું. ક્ષમા, પ્રેમ બલિદાનના સાક્ષાતસ્વરૂપ ભગવાન ઈસુએ પોતાના શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું. ભોજન પહેલાં શિષ્યોનાં પગ ધોયા હતા અને નમ્રતા તથા સાદગીનો સંદેશો આપ્યો હતો. ‘પામ સન્ડે’ના ભાગરૂપે ચર્ચમાં મીસ (માસ) તથા તાડપત્ર સાથે સરઘસનું ઠેર-ઠેર આયોજન હાથ ધરાય છે.




