બનાસકાંઠા (પાલનપુર)37 મિનિટ પહેલા
- કૉપી લિંક
ઉમરકોટના ખેડૂતોએ જમીન વિવાદને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારી બાબુઓ અને ભૂમાફિયા દ્વારા જમીન પડાવી લેવાના આક્ષેપ સાથે ખેડૂતોએ મામલતદાર ઓફિસમાં ધરણા યોજી સરકાર સામે નારાઓ બોલાવ્યાં હતા અને ભૂખ હડતાળ પર ઉતારવાની ચીમકી આપી ન્યાયની માંગ કરી હતી.
‘હમ હમારા હક માંગતે હે કોઈ ભીખ નહી’, જેવા નારાઓ સાથે અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામના ખેડૂતો પરિવાર સાથે ધરણાં યોજી ન્યાય માગી રહ્યા છે. ઘણા દિવસોથી ચર્ચામાં રહેલા જમીન વિવાદ માટે ખેડૂતો લડી લેવાના મુડમાં જોવા મળ્યાં છે. ઉમરકોટ પાસે દાંતીવાડા ડેમના પટની સર્વે નંબર વાળી જમીનમાં અમુક ખેડૂતો વર્ષોથી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને આ જમીન માટેની હક પાવતી પણ 1991 થી સરકારી દફતરે ભરેલ છે પરંતુ સદરહુ જમીન 98 એકર જેટલી જળ સંપાદનમાં ગયેલ હોવાથી આ ખેડૂતોને 2020માં જમીન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવતા તેઓ કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતા પરંતુ અચાનક આ જમીન પર જમીન માલિક મળી આવ્યો અને કબજો લઈ ખાલી કરાવવા માટે આવતા ખેડૂતો અકળાયા હતા.
વર્ષોથી પોતાના પાસે રહેલી જમીન સરકાર ખાલી કરાવી દાંતીવાડા જળાશયને આપવા માટે નોટિસ આપેલ છે તે જમીનનો માલિક ક્યાંથી આવ્યો આવા અનેક પ્રશ્નો અને સરકારી બાબુઓ પર અનેક આક્ષેપો સાથે મામલતદાર ઓફિસમાં ન્યાય માટે ધરણાં યોજી ભૂખ હડતાળ અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી. તેમજ ન્યાય નહીં મળે તો કલેકટર ઓફિસમાં પણ ધરણાં કરવાની તૈયારીઓ બતાવી હતી.