ભાવનગર6 મિનિટ પહેલા
- કૉપી લિંક

પવિત્ર ચૈત્ર માસ એટલે ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરવાનો સુવર્ણ અવસર શાસ્ત્રોમાં નવ પ્રકારની ભક્તિમાં શ્રવણ ભક્તિને પ્રથમ અને શ્રેષ્ઠ ભક્તિ કહી છે. જે ઉપક્રમે ભાવનગર શહેરમાં ચિત્રા ઓમ પાર્ટી પ્લોટ ખાતે મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી અક્ષરવાડી BAPS સ્વામિનારાયણ મંદિરના વિદ્વાન વરિષ્ઠ સંત સોમપ્રકાશ સ્વામી દ્વારા સંગીતમય હરિલીલામૃત ગ્રંથની પંચ દિવસીય પારાયણનો પ્રારંભ થયો હતો.

સાહિત્યની દૃષ્ટિએ પણ આ અમૂલ્ય ગ્રંથ
હરિલીલામૃત ગ્રંથ ભગવાન સ્વામિનારાયણના જન્મથી જીવન પર્યંતના દિવ્ય લીલા ચરિત્રોનો પવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથની રચના આચાર્ય વિહારી લાલજી મહારાજની પ્રેરણાથી કવીશ્વર દલપતરામજી એ સરળ ગુજરાતી ભાષામાં કરેલ છે. સાહિત્યની દૃષ્ટિએ પણ આ અમૂલ્ય ગ્રંથ છે.
પવિત્ર જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય
પારાયણના પ્રથમ દિવસે પૂજય સોમપ્રકાશ સ્વામીએ ગ્રંથ નિર્માણનો ઇતિહાસ જણાવ્યો હતો અને સાથે જણાવ્યું કે ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોથી જીવનમાં શાંતિ થાય છે. ભગવાનનો મહિમા સમજાય છે. સાચી સમજણ પ્રાપ્ત થાય છે અને પવિત્ર જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે. જીવનમાં આવતા નાના મોટા પ્રશ્નોમાં સ્થિરતા રાખવાનું બળ પ્રાપ્ત થાય છે.
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
પારાયણના પ્રથમ દિવસે ભાવનગર શહેરના મેયર કિર્તીબેન દાણીધરિયા તથા અન્ય ભાજપ અગ્રણીઓ, તેમજ મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ પ્રાપ્ત કર્યો હતો. 17-4થી તા.21-4 સુધી રાત્રીના 9 થી 10:45 દરમ્યાન યોજાનાર આ પારાયણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તજનોને અક્ષરવાડી મંદિર દ્વારા હાર્દિક આમંત્રણ છે.
ફ્રી મેગા નિદાન કેમ્પનું આયોજન
પારાયણની સાથે પારાયણ સ્થળે અક્ષરવાડી મંદિર અને શિવાલિક આરોગ્ય ધામ, ચિત્રાના સહયોગથી તા.19/4 સાંજે 5 થી 8 તેમજ સૌલ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલના સહયોગથી 20/4 અને 21/4 સાંજે 7 થી 11 દરમ્યાન ફ્રી મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.