- Gujarati News
- Local
- Gujarat
- Ganiben Ready To Join BJP? Traveling On Ahmedabad Vadodara Express Highway Will Be Expensive, Know How Much Toll Tax Has Increased, See Seven Big News
35 મિનિટ પહેલા
- કૉપી લિંક
RTE પ્રવેશ માટેની તારીખ થઇ જાહેર
10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકશે. જો કે આ માટે 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ બાળકે પૂર્ણ કરેલા હોવા જોઈએ.દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મળે, પણ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે સારી શાળામાં પ્રવેશ ન મળતા તે મુંઝવણ અનુભવતા હોય છે. જો કે માતા પિતાની મુંઝવણ સરકારની RTE યોજનાને કારણે હળવી થઇ શકે છે. ત્યારે નવા વર્ષ માટે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ મળે તે માટે RTE પ્રવેશની તારીખ જાહેર કરાઇ છે. ગુજરાતમાં RTE માટે 10 એપ્રિલથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે. 10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકશે.જો કે સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી રહેશે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કરતા ઓછી હશે, તો પ્રવેશ આપી શકાશે નહિ. ખાનગી શાળાઓમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે.

આજથી અમદાવાદથી વડોદરા જવું મોંઘુ બન્યું
દેશમાં દિવસે દિવસે વધી રહેલી મોંઘવારીથી સામાન્ય માણસની હાલત કફોડી બનાવી રહી છે. પેટ્રોલ અને ડીઝલ સહિત જીવન જરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. ત્યારે હવે વડોદરાથી અમદાવાદના ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટોલ ટેક્સમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.અમદાવાદ-વડોદરાની સવારી થશે મોંઘી કારણ કે એક્સપ્રેસ વેના ટોલ ટેક્સમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વિવિધ પ્રકારનાં વાહનો માટે ટોલ ટેક્સની ફીમાં વધારો થવા પામ્યો છે. વડોદરાથી અમદાવાદના કારના ટોલ ટેક્સમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવેથી કાર, જીપ, વાન અને LMV પ્રકારના વાહનોને અમદાવાદથી વડોદરા ટોલ ટેક્સ સીંગલ 135 અને રીટર્ન 200 રૂપિયા થશે. તેમજ અમદાવાદથી નડીયાદનીં સીંગલ ટ્રીપ માટે રૂા.65 અને રીટર્ન ટ્રીપનાં રૂા.95 થશે. અમદાવાદથી આણંદના સીંગલ ટ્રીપ રૂા.85 અને રીટર્ન ટ્રીપ રૂા.125 થશે.

કોરોના મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચકયો હોય તેવી સ્થિતિ જન્મી રહી છે. કોરોના કેસમા વધઘટ જોવા મળી રહી છે. ગુજરાતમાં ફરી કોરોનાના રોજિંદા સંક્રમિત દર્દીઓનો સામાન્ય વધઘટ જોવા મળી રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 338 પોઝિટિવ કેસ નોંધાયા છે. આવામાં કોરોનાને લઇને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. કોરોનાને લઇને ઋષિકેશ પટેલે કહ્યું કે, કોરોનાથી હવે કોઈએ ડરવાની જરૂર નથી. હવે કોરોના જીવનનો એક ભાગ થઇ ગયો છે. કોરોનાની ઘાતકતા ઘટી છે. લોકોએ કોરોનાથી સાવધાની રાખવી જોઈએ, ડરવાની જરૂર નથી. સાથે જ સમયસર હાથ ધોવા અને માસ્ક પહેરવાની આરોગ્ય મંત્રીએ વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોરોના ટેસ્ટિંગમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં 338 કેસ નોંધાયા છે. અમદાવાદમા 92 કેસ તેમજ રોજકોટમાં 44 કેસ, મોરબીમાં 34, સુરતમાં 37, અમરેલીમાં 7 કેસ નોંધાયા છે. આણંદમાં 5, બનાસાકાઠામાં 12 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 5 અને મહેસાણામાં 12 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં 14 અને નવસારીમાં 4 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ભરૂચમાં 8 અને દાહોદમાં 1 કેસ નોંધાયો છે.

સરકારને ઘેરનારા નેતાએ કર્યા સરકારના વખાણ
વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો હાલમાં વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ નડાબેટ ખાતે નડેશ્વરી માતાના 37મા પાટોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. રામ નવમીના દિવસે યોજાયેલા આ સંતવાણી કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ભારત પાકિસ્તાન સીમા પર આવેલ નડાબેટ નો સરકારે વિકાસ કર્યો છે. સરકારનો લાભ ખુબ સારા પ્રમાણમા મળતા સીમા દર્શન અને નડાબેટમાં આવેલ નડેશ્વરી માતાજીના મંદિરેને દેશમાં નહી પરંતુ વિશ્વના નકશામાં સ્થાન મળ્યું છે. તેના કારણે મોટા પ્રમાણમાં લોકો અહીં આવી મુલાકાત લેશે.નોંધનીય છે કે, હર હંમેશ વિવિધ મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારીમાં રહેતા ગેનીબેન ઠાકોરે સરકારે છેવાડાના વિસ્તારોમાં કરેલા વિકાસના કામોને વખાણ કર્યા હતા. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે શું ગેનીબેન પણ અન્ય પૂર્વ કોંગેસના નેતાની જેમ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે?

એપ્રિલમાં પણ આવશે માવઠા
રાજ્યમાં એક પછી એક માવઠાની આગાહીની ઉપાધિ જોવા મળી રહી છે. ઉનાળાના પ્રારંભની સાથે જ માવઠાએ મોકાણ સર્જતા ઠેર-ઠેર અનેક વિસ્તારોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો હતો. તેવામાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે કે, હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તેમજ 4 એપ્રિલે કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી અને 5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ બાદ ગરમીમાં વધારો થશે અને મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. હજુ પણ 2થી 4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના છે. આગાહીને ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા છે, ભર ઉનાળે ચોમાસોનો માહોલ ફરી એકવાર જોવા મળશે.

સિવિલ હોસ્પિટલની ડિજીટલ પહેલ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૧ એપ્રિલ થી દર્દીઓના હિતાર્થે નવતર પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જેના અંતર્ગત હોસ્પિટલમાં નિદાન અને સારવાર અર્થે આવતા દર્દીઓ એક વખત ડોક્ટરની મુલાકાત લીધા બાદ ફરી વખત તપાસ માટે આવવા તેઓને SMS કરીને જાણ કરવામાં આવશે.વધુમાં દર્દીઓએ ફરી વખત હોસ્પિટલમાં આવતી વેળાએ આગળની સારવારના કાગળ ઓપીડી વિભાગમાં સવારે ૮:૩૦ કલાકે બતાવવાના રહેશે. સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી એ જણાવ્યું છે કે , દર્દીઓને સત્વરે અને સરળતાથી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બને તે માટે દર્દીઓના સુખાકારીમાં વધારો કરતી પહેલ હાથ ધરવામાં આવી છે. સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયા ને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે.

સેલ્ફી લેવા જતા યુવક ખાડામાં પડ્યો
આજકાલના યુવાનોમાં વધી રહેલા મોબાઈલના વળગણમાં સેલ્ફીનું દૂષણ વધી રહ્યું છે. સેલ્ફીના ચક્કરમાં યુવાઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને જીવ ગુમાવ્યાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢમાં પણ આ રીતે સેલ્ફી લેવા જતા 22 વર્ષનો એક યુવક 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હોવાની વિગતો મળી રહી છે. જોકે પોલીસ અને 108ની ટીમ દ્વારા યુવકનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.મળતી માહિતી મુજબ, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભદ્રકાળી માતાજીના મંદિર તરફ જવાના રસ્તામાં ટંકશાળ પાસે ફોટો પાડવા જતા એક યુવક ખાડામાં ખાબક્યો હતો. સ્મિત પંડ્યા નામના યુવક દ્વારા એક યુવક ખાડામાં પડ્યો હોવાની સ્થાનિક પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પાવાગઢ પોલીસ, ફાયર ફાઇટર ટીમ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અંદાજીત પચાસ ફૂટ ઊંડા ખાડામાં પડેલ ગૌરવ દવેનું દિલધક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ અને યુવકને સહીસલામત રીતે બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે હોસ્ટપિટલ ખસેડવામાં આવ્યો હતો.