અમદાવાદ22 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત આગામી 14 અને 15 એપ્રિલના રોજ ફરી મોહન ભાગવત અમદાવાદ ખાતે આવશે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શક્તિ પ્રદર્શન યોજાશે. 14 એપ્રિલના રોજ સાંજે 5.30થી 8 “સમાજશક્તિ સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RSS વડા મોહન ભાગવત પોતાનું વક્તવ્ય આપશે. રાષ્ટ્રનિર્માણમાં સમાજ રીતે પોતાનું યોગદાન આપી શકે છે. તેના પર મોહન ભાગવત પોતાના વિચારો રજૂ કરશે. છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કોઈ જાહેર કાર્યક્રમ યોજાયો ન હતો. ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવકનો મોટો કાર્યક્રમ યોજાશે જેમાં આશરે 15 હજારથી વધુ સ્વયંસેવકો હાજર રહેશે.
રાષ્ટ્રનિર્માણમાં સમાજનું મહત્વનું યોગદાન મળી રહે અને તેમાં સમાજના વિવિધ લોકો દ્વારા કઈ રીતે સંગઠિત થઈ કાર્યરત થાય તેના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) દ્વારા અમદાવાદના વસ્ત્રાપુરના જીએમડીસી ગ્રાઉન્ડમાં 14 એપ્રિલના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને સમાજશક્તિ સંગમ નામ આપવામાં આવ્યું છે. આરએસએસના વડા મોહન ભાગવત સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ, 15000 જેટલા સ્વયંસેવકો અને લોકો ઉપસ્થિત રહેશે. જ્યારે રાજકીય નેતાઓ હાજર રહેશે કે કેમ તે અંગે હજી સુધી જાણવા મળ્યું નથી. ઘણા લાંબા સમય બાદ આરએસએસનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન અમદાવાદમાં યોજાશે.
અમદાવાદના શિવાનંદ આશ્રમમાં બે દિવસીય ધર્મ આચાર્ય સભાનું આયોજન કરાયું હતું, જેમાં સોમવારે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત હાજર રહ્યા હતા. આચાર્ય સભાના સમાપન બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને આરએસએસના વડા મોહન ભાગવત વચ્ચે એક કલાક સુધી બંધ બારણે બેઠક યોજાઈ હતી. બેઠકમાં રામ મંદિર સહિતના અલગ અલગ મુદ્દે ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.