છોટા ઉદેપુર11 મિનિટ પહેલા
- કૉપી લિંક
બ્રાહ્મણના આરાધ્યદેવ એટલે ભગવાન શ્રી વિષ્ણુજીના છઠ્ઠા અવતાર ભગવાન શ્રી પરશુરામજીની આજે જન્મ જયંતી હોય ઠેર ઠેર બ્રહ્મ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી પરશુરામની જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ઉત્સવ અને ધર્મપ્રિય એવા બોડેલી નગરમાં પણ પ્રતિ વર્ષની જેમ આજે સમગ્ર બોડેલી બ્રહ્મ સમાજ યુવા સંગઠન દ્વારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી નિમિત્તે બોડેલીના અલીપુરા સ્થિત શ્રી ગોપેશ્વર મંદિરથી ભગવાન શ્રી પરશુરામજીની એક ભવ્ય બાઈક રેલી સાથેની શોભાયાત્રા નીકળી સમગ્ર બોડેલી નગરમાં ફરી ભગવાન પરશુરામના જયઘોષ સાથે શ્રી રામજી મંદિર પહોંચી હતી. જ્યાં આરતી તથા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બોડેલી સમસ્ત બ્રહ્મ સમાજના તથા નગરજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હર્ષોલ્લાસ સાથે મહોત્સવની ઉજવણીનો લાભ લઈ કૃતજ્ઞતા અનુભવી હતી.

આજે અખાત્રીજ, પરશુરામ જયંતી અને રમજાન ઈદ જેવા મોટા તહેવારો એક સાથે આવતા હોઈ નગરમાં સામાજિક સૌહાર્દનું વાતાવરણ ડહોળાય નહીં તેની પોલીસ વિભાગ દ્વારા તમામ તકેદારી રાખી શોભાયાત્રા દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ.આર. ડામોર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.