આણંદ30 મિનિટ પહેલા
- કૉપી લિંક
આણંદ – ખંભાત વચ્ચે દોડતી ડિઝલ એન્જીનવાળી ડેમુ ટ્રેન હવે ભુતકાળ બનશે. આ ટ્રેનના બદલે શુક્રવારથી ઇલેક્ટ્રીક ટ્રેન દોડશે. આ ટ્રેનને સાંસદ, ધારાસભ્ય અને ડીઆરએમની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી હતી. આ ટ્રેન દોડતા પ્રદુષણની માત્રા ઘટશે.

આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે, આણંદથી ખંભાત વચ્ચે પહેલા ડિઝલ એન્જિની ટ્રેન દોડતી હતી. તે આજથી ઇલેક્ટ્રીક એન્જીનથી દોડશે. જે ટ્રેનનું લોકાર્પણ શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વીન વૈષ્ણવે બે ટ્રેન આપી છે. જે દરરોજ 10 ટ્રીપ દોડશે. જેથી પ્રદુષણ ઘટશે. ખંભાત અને તારાપુરથી નોકરી કરવા આણંદ આવતા યુવાનોને સગવડ મળશે. આ ટ્રેન ભારત દેશમાં બની છે, એન્જી, ડબ્બા બધુ ભારતમાં બન્યા છે. દેશના વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી છે અને અદ્યતન ટ્રેન બનાવી છે.

ભારતીય રેલ્વેના વડોદરા ડિવિઝનમાં આવેલા આણંદ રેલ્વે સ્ટેશન પર આણંદથી ખંભાતના રૂટ પર નવીન ઈલેક્ટ્રીક મેમુ ટ્રેનને આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે લીલી ઝંડી આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલને વડોદરા ડિવિઝનના ડી.આર.એમ. જિતેન્દ્ર સિંહે ઇલેક્ટ્રીક મેમુ ટ્રેનના એન્જિન તથા કોચની બનાવટ અને સાવચેતીના માપદંડો ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી સુવિધાઓ તથા ટ્રેનમાં ઉપયોગમાં લેવાયેલ આધુનિક ટેકનોલોજી સહિતની તમામ જાણકારી આપી હતી. સાંસદ અને ધારસભ્યએ આ તકે પ્રાસંગિક ઉધ્બોધન કરી, ટ્રેનની બાબતોનું નિરિક્ષણ કરીને, ડી.આર.એમ તથા સાથે હાજર રેલ્વેના અન્ય પદાધિકારીઓ અને રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને અભિનંદન પાઠવ્યા હતા.

મહત્વનુ છે કે ખંભાત વચ્ચે 102 વર્ષથી રેલવે લાઇન ઉપર લોકલ ટ્રેન દોડાવવામાં આવતી હતી.આણંદ ખંભાત વચ્ચે 1920માં રેલવે લાઇન નંખાઇ હતી. સૌ પ્રથમ કોલસા એન્જીનની લોકલ ટ્રેન દોડતી હતી,2001માં કોલસા એન્જીન બંધ કરી ડેમું ચાલુ થઈ હતી.જનતાની માંગને ધ્યાને લઇ આણંદ સાંસદ મિતેષભાઇ પટેલ તથા ભાજપ સંગઠનના નેતાઓ અને હોદેદારો પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી હતી. જેથી 2020માં આણંદ ખંભાત વચ્ચે ઇલેકટ્રીક દોડાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ રેલવે તંત્ર દ્વારા આ લાઇન પર ઇલેકટ્રીક લાઇન નાંખવાનું કામ ચાલુ કર્યુંહતું. આણંદ ખંભાત વચ્ચે 200થી વધુ ઇલેકટ્રીક પોલ ઉભા કરી 25 હજાર વોલ્ટની લાઇન નાખવામાં આવી છે.

નોંધનીય છે કે, આ ટ્રેન સેવા શરૂ થવાને કારણે આણંદથી ખંભાત રૂટ પર બહોળી સંખ્યામાં આવાગમન કરતા લોકો કે જેમાં અનેક વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ વેપારીવર્ગ સહિત અન્ય ઘણા નાગરિકો કે જેઓ રોજિંદુ કે ક્યારેક આણંદ-ખંભાત રૂટ પર મુસાફરી કરે છે તેમને આ ટ્રેનસેવાનો ખૂબ ફાયદો થનાર છે. આણંદ અને ખંભાત વચ્ચે ઈલેક્ટ્રિક લાઇન વિકસાવી શરૂ કરાયેલ મેમુ ટ્રેન સેવાને કારણે પ્રદુષણમુક્ત અને ઝડપી તેમજ આરામદાયક મુસાફરી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, આણંદ-ખંભાત રૂટ પર કુલ બે પેસેન્જર મેમુ ટ્રેન નિયમિત રૂપે દરરોજ આવન-જાવનના પાંચ-પાંચ ફેરા ફરશે. જેથી આણંદ અને ખંભાત વચ્ચે પ્રવાસ કરતા દરેક મુસાફરના સમયને બચાવવામાં પણ આ ટ્રેન ઉપયોગી સાબિત થશે.

