સુરત5 કલાક પહેલા
- કૉપી લિંક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહીધરપુરા હીરા બજારની ઓચિંતી શુભેચ્છા મુલાકાત લેવામાં આવી
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે મહિધરપુરા હીરા બજારની મુલાકાત લીધી હતી. અહી હર્ષ સંઘવીએ હીરા વેપારીઓ અને હીરા દલાલ સાથે બેઠક કરી તેઓની સાથે ચર્ચાઓ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, હીરા બજારની જે પોલીસ ચોકી છે તેને અધ્યતન બનાવવામાં આવશે, અહીં સ્ટાફ વધારવામાં આવશે. જયારે રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં મળેલા ગાંજાના છોડ બાબતે જણાવ્યું હતું કે, આ અંગે સ્પેશિયલ ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે.
હીરા બજારમાં ગૃહરાજ્યમંત્રીની ઓચિંતી મુલાકાત
સુરત શહેર હીરા નગરી તરીકે દેશભરમાં જાણીતું છે. સુરતમાં મોટી સંખ્યામાં લોકો હીરા ઉઘોગ સાથે સંકળાયેલા છે ત્યારે સુરતમાં હીરા વેપારીઓ સાથે ઠગાઈ થતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. આ દરમિયાન આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા સ્થિત આવેલા હીરા બજારની ઓચિંતી શુભેચ્છા મુલાકાતે પહોચ્યા હતા. હર્ષ સંઘવીએ અહીં હીરા વેપારીઓ તેમજ અહીં કામ કરતા હીરા દલાલ સાથે અનેક મુદાઓને લઈને ચર્ચાઓ કરી હતી અને તેઓને પડતી સમસ્યા અને મુશ્કેલી જાણી નિખાલસ ચર્ચા કરી હતી અને આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી દ્વારા હીરા વેપારીઓની સાથે મળી હીરા પણ તરાસ્યા હતા.
હીરા બજારની પોલીસ ચોકી અદ્યતન બનાવાશે : હર્ષ સંઘવી
મીડિયા સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હું હીરા બજારમાં આવ્યો છું તો કંઇક આપીને જઈશ અને હીરા બજારની જે પોલીસ ચોકી છે, તેને અદ્યતન બનાવવામાં આવશે, અહી સ્ટાફ વધારવામાં આવશે. અહીં નાના-મોટા વેપારીઓને જે ફરિયાદો છે તેને ઉકેલલાવામાં આવશે કારણ કે, મારા સુરતનો વેપારી સૌરાષ્ટ્ર હોય કે ઉતર ગુજરાત કે પછી દેશ-વિદેશથી અનેક લોકો સુરતના હીરા ઉઘોગના વ્યવસાય સાથે જોડાયેલા છે પરંતુ, સુરતનું પાણી આપણે સૌ લોકો જાણીએ છીએ કે, અહી એકબીજા પર વિશ્વાસ કરનારા લોકો છે. અહીં અજાણ્યા લોકોને પણ લાખો રૂપિયાનો માલ આપીને એકબીજાના વિશ્વાસ ઉપર વેપાર કરતા હોય છે અને આ જ વેપાર કરતા-કરતા તમામ લોકો મોટા થયા છે પરંતુ, મારા સુરત શહેરના કોઈ વેપારીનો માલ કે જે વિશ્વાસ પર આપ્યો હોય અને તેની સાથે વિશ્વાસઘાત થાય તો તે માત્ર સુરતમાં જ નહી પરંતુ, તે દેશના કોઈપણ ખૂણામાં હોય તો તેને પકડીને લાવવાની વ્યવસ્થા કઈ રીતે થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે આયોજન પર મારું પર્સનલ ધ્યાન છે. આવનારા દિવસોમાં અહિયાં વધુ સ્ટાફ આપીને વેપારી સાથે ચીટીંગ કરનાર વ્યક્તિને શોધીને લાવીને કડકમાં કડક કાર્યવાહી કરવાની જવાબદારી મારી છે.
રાજકોટમાં મળી આવેલા ગાંજાના છોડને લઈ તપાસ સોપાઈ
રાજકોટ શહેર નજીક આવેલી મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ગઈકાલે સાંજના સમયે મીડિયા દ્વારા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ઘટના બાદ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. પોલીસે શૈક્ષણિક સંકુલો તથા હોસ્ટેલોમાં પોલીસે દરોડા પાડયા છે અને હોસ્ટેલોમાં રહેતાં વિદ્યાર્થીઓના રૂમોમાં મોટાપાયે ચેકીંગ હાથ ધરતાં વિદ્યાર્થી વર્ગમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે સુરતમાં આ મુદે હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજકોટની ઘટનામાં તપાસ માટે સ્પેશીયલ ટીમ બનાવવામાં આવી છે, જે છોડ મળ્યા છે અને તે ગાંજાના હોવાનું કહેવાઈ રહ્યું છે તેને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે તેનો રીપોર્ટ આવતા જ અને આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં આ સંપૂર્ણ બાબતે રાજકોટ પોલીસ કમિશ્નર જવાબ આપશે.