દાહોદ42 મિનિટ પહેલા
- કૉપી લિંક

કરીયાણાની દુકાન કરવા દારૂડીયા પતિ દ્વારા પત્ની પર પિયરમાંથી પૈસા લઈ આવવા અવાર નવાર દબાણ કરાતુ હતું. જો પૈસા નહી લાવે તો ઘરમાં ન રહેવા દેવાની ધમકી આપી મારકુટ કરી સાસરીયા દ્વારા છેલ્લા નવ માસથી શારીરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે પરિણીતાને ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ નોંધાવાઈ છે.
લગ્નના ત્રણ માસ બાદ જ સાસરિયાઓનુ પોત પ્રકાશયુ
દાહોદ યશોદા રેસીડેન્સી, ઝાલોદ રોડ પાસે રહેતા દયાશંકર મિશ્રાની દીકરીના લગ્ન તા. 15-4-2022ના રોજ દાહોદ મુવાલીયા ક્રોસીંગ, પાર્વતી નગર આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા પ્રતિક લુકેન્દ્ર શર્મા સાથે થયા હતા. યુવતીને લગ્ન બાદ ત્રણેક માસ સુધી તેના પતિ, સાસુ, નણંદ, તેમજ અન્ય સાસરીયા દ્વારા સારૂ રાખવામાં આવ્યાં બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું.
પૈસા લાવે તો જ મારા ઘરમા રહેવાનુ
ત્યારબાદ પરિણીતાનો પતિ દારૂ પીને, તું તારા બાપના ઘરેથી દહેજમાં કાંઈ લાવી નથી અને મારે કરિયાણાની દુકાન ચાલું કરવાની હોઈ જેથી તું તારા બાપના ઘરેથી રૂપિયા 50 હજાર લઈ આવ. જો તું પૈસા લઈ આવે તો જ તને અમારા ઘરમાં રહેવા દઈશ. તેમ કહી પરિણીતા પાસે દહેજની માંગણી કરી અવાર નવાર હેરાન પરેશાન કરી કોઈ પણ કોઈ પણ કારણ વગર ઝઘડો તકરાર કરી તું મારા ઘરમાંથી નીકળી જા તેમ કહી મારકુટ કરી ત્રાસ આપતો હતો.
ત્રસ્ત પરિણીતાએ છેવટે પિયરવાટ પકડી
પરિણીતાની સાસુ આશાબેન લુકેન્દ્ર શર્મા, નણંદ શાંતાબેન વિદ્યાધર મીશ્રા તથા નિશુ લુકેન્દ્ર શર્મા વગેરેએ ઘરમાંથી કાઢી મુકવા ચઢામણી કરતા હતા અને તમામે ભેગા મળી પરિણીતાને ગાળો બોલી, મારી નાંખવાની ધાકધમકીઓ આપી શારીરીક અને માનસીક ત્રાસ આપી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ પિયરવાટ પકડી હતી અને પોતાને ઘરે આવી પોતાની આપવીતી કહી સંભળાવ્યા બાદ પોતાના પતિ સહીત તમામ સાસરીયા વિરૂધ્ધ દાહોદ મહિલા પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.