અંકલેશ્વર32 મિનિટ પહેલા
- કૉપી લિંક

અંકલેશ્વરના ગડખોલ ગામની સાંઈ રેસીડેન્સીમાં પતિએ પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા રાખીને ગળે ટૂંપો આપી હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પત્નીને મોતને ઘાટ ઉતારી પતિ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ મામલે મૃતકના ભાઈએ તેના બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી.

પતિનો તેની પત્ની સાથે રાત્રે ઝઘડો થયો હતો
અંકલેશ્વર ખાતે રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ ગડખોલ ગામની મીઠા ફેક્ટરી વિસ્તારમાં આવેલા સાંઈ રેસિડન્સીમાં છેલ્લા 2 વર્ષથી સદ્દામખાન રમઝાન ખાન, પત્ની શાઈનાબાનું 3 બાળકો સાથે રહે છે. છેલ્લા કેટલાક સમયથી સદ્દામખાન પોતાની પત્ની પર અનૈતિક સંબંધથી શંકાનો વહેમ રાખીને બંનેના દામ્પત્ય જીવનમાં કંકાસ ચાલી રહ્યો હતો. દરમિયાન ગત રાત્રે સદ્દામખાન 11 વાગ્યે કામ પરથી પરત ઘરે આવ્યો હતો. તે દરમિયાન તેણે તેના ઘરમાંથી કોઈ ભાગતા હોવાનો અવાજ આવ્યો હતો. જેને લઇ સદ્દામખાન અને પત્ની શાઈનાબાનું સાથે ઝઘડો થયો હતો.

મૃતકના ભાઈએ મુંબઈથી આવીને ફરિયાદ નોંધાવી
આ બંને વચ્ચે શરૂ થયેલા ઝઘડાએ ભારે સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની શાઈનાબાનુંને પહેરેલા કપડાંના દુપટ્ટા વડે તેને ગળામાં ટૂંપો આપી તેનો દમ ઘુટાવી હત્યા કરી સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ અંકલેશ્વરમાં રહેતા તેમના સંબંધીને થતા તેઓ સ્થળ પર દોડી મૃતક શાઈનાબાનુંના ભાઈ વસીમ ખાન નઈમ ખાનને કરતા તેઓ પણ મુંબઈથી અંકલેશ્વર દોડી આવ્યા હતા. આ મામલે તેના ભાઈએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે સદ્દામખાન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.