દાહોદ26 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા 109 જેટલા આઈએએસ સનદી અધિકારીઓની વહીવટી કારણોસર રાજય વ્યાપી બદલીઓ કરવામાં આવી છે. જેમાં દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારીની પણ બદલી કરવામાં આવી છે. તેઓની જગ્યાએ અન્ય અધિકારી મુકાયા છે.

છેવટે નાણાકીય વર્ષના અંતિમ દિને બદલીઓ કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ નવનિયુક્ત ભુપેન્દ્ર પટેલની સરકારમાં આઈએએસ અધિકારીઓની રાજ્ય વ્યાપી બદલીઓની ચર્ચાઓ ચાલી રહી હતી. છેલ્લા ઘણા સમયથી અધિકારીઓની બદલીઓનો તખ્તો ઘડાઈ ગયો હોવાનું પણ કહેવાય રહ્યું હતું પરંતુ કોઈ કારણોસર આ બદલીઓ લંબાઇ ગઈ હતી. ત્યારે નાણાકીય વર્ષના અંતિમ દિવસે સરકારે IAS સનદી અધિકારીઓની બદલીઓ કરી દીધી છે.
દાહોદના નવા ડીડીઓ ગાંધીનગરથી મુકાયા
જેમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીની બદલી કરવામાં આવી છે. તેમની સેવાઓને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ તરીકે નિમણૂક માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિકાલ પર મૂકવામાં આવ્યા છે.જયારે ઉત્સવ ગૌતમ મિશન ડાયરેક્ટર, નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન, ગાંધીનગરની બદલી જિલ્લા વિકાસ અધિકારી, દાહોદ તરીકે કરવામાં આવી છે.દાહોદ ના કલેક્ટર હર્ષિત ગોસાવીની પણ બદલી થવાની ચર્ચા હતી પરંતુ હાલ તેઓની બદલી થઈ નથી.
હવે ટ્રાયબલ કચેરીમાં પણ IASનુ રાજ
બીજી તરફ સરકારે પ્રાયોજના વહીવટદાર એટલે કે ટ્રાયબલ સબ પ્લાનમાં પ્રોજેક્ટ એડ્મિનિસ્ટ્રેટર તરીકે પણ હવે આઈએએસ અધિકારીઓને પોસ્ટીંગ આપવાની શરુઆત કરી છે.આ જગ્યાઓ પર અત્યાર સુધી અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓ મુકાતા હતા.તેવા સંજોગોમા દાહોદ ટ્રાયબલ સબ પ્લાનમાં પ્રોજેક્ટ એડ્મિનિસ્ટ્રેટર તરીકે આઈએએસ સ્મિત સંતોષ લોધાને મુકવામા આવ્યા છે.સરકારનો આ નિર્ણય ઘણો મહત્વપૂર્ણ માનવામા આવે છે.કારણ કે આ વિભાગમાં આદિવાસી વિકાસ યોજનાના ખરબો રુપિયાની ગ્રાન્ટ આવે છે ત્યારે હવે દાહોદ પ્રાયોજના કચેરીના “વહીવટ”માં શું ફેરફાર આવે છે તે જોવુ રહ્યુ.