બનાસકાંઠા (પાલનપુર)એક કલાક પહેલા
- કૉપી લિંક
કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડો. ભાગવત કરાડની અધ્યક્ષતામાં વડગામ મામલતદાર કચેરી ખાતે કેન્દ્ર સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા માટે અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીએ નાબાર્ડના માધ્યમથી SHG ને મદદ થાય અને ઉત્પાદકોને માર્કેટીંગમાં સહાય થાય એ માટે ગ્રામ્ય સ્તરે પ્રયાસો કરવા જણાવ્યું હતું.બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં સારું કામ થઇ રહ્યું છે. ગ્રામ્ય સ્તરે બેંકના માધ્યમથી પહોંચી જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભ આપવા તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં ભારત સરકારની યોજનાઓ જેવી કે મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પાણી પુરવઠા વિભાગની યોજના, વોટરશેડ યોજના, વીજકળીકરણની યોજના, આરોગ્ય વિભાગની યોજનાઓ, સમગ્ર શિક્ષા અભિયાન, આઇ.સી.ડી.એસ.ની યોજના, ડિજીટલ ઇન્ડિયા, કૃષિ વિષયક યોજનાઓ અને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનામાં બનાસકાંઠા જિલ્લામાં થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખે કેન્દ્ર સરકારની યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરી જિલ્લામાં થયેલ યોજનાકીય કામોની માહિતી મંત્રી સમક્ષ રજૂ કરી હતી.