વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
માંજલપુર કોતર તલાવડી વિસ્તારમાં આધેડનો રહસ્યમય આપઘાત
શહેરના માંજલપુર વિસ્તારમાં રહસ્યમય ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર આધેડના પરિવારજનો અંતિમ સંસ્કાર કરી નાંખે તે પહેલાં સ્મશાનમાં પહોંચી ગયેલી પોલીસે લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. પત્ની અને પુત્રના વિરોધાભાસી નિવેદનો આવતા મોતનું રહસ્ય ઘરાયું છે. જોકે, પોષ્ટમોર્ટમ બાદ આધેડના મોતના રહસ્ય ઉપરથી પડદો ઉંચકાય તેવી શક્યતાઓને નકારી શકાય નહિં.
માતાએ પુત્રને જાણ કરી બોલાવ્યો
મળેલી માહિતી પ્રમાણે માંજલપુર વિસ્તારમાં અલવાનાકા પાસે કોચર તલાવડી પાસે પત્ની જશોદાબહેન બારીયા સાથે રહેતા લાલજીભાઇ બારીયાએ રહસ્યમય સંજોગોમાં ઘરની મોભ ઉપર દોરીથી ફાંસો ખાઇ લીધો હતો. પત્ની જશોદાબહેનને જાણ થતાં તેમને નજીકમાં પરિવાર સાથે રહેતા પુત્ર અનિલને જાણ કરી હતી.

માંજલપુર પોલીસ સ્મશાનમાં પહોંચી
અંતિમ યાત્રાની તૈયારીઓ
પિતાએ આપઘાત કરી લીધો હોવાની જાણ પુત્રને અનિલને થતાં તુરતજ તે દોડી આવ્યો હતો. અને અન્ય પરિવારજનો આવી પહોંચે તે પહેલાં પત્ની જશોદાબહેન અને પુત્ર અનિલે આપઘાત કરી લેનાર લાલજીભાઇની અંતિમ વિદાયની તૈયારીઓ કરી દીધી હતી. પોલીસને જાણ કર્યા વગરજ લાલજીભાઇનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે માંજલપુર મુક્તિધામ સ્મશાનમાં લઇને આવી પહોંચ્યા હતા. અને અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

પોલીસે લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી
લાશ ચિતા ઉપર મૂકી દીધી
દરમિયાન આપઘાત કરી લેનાર લાલજીભાઇ બારીયાના જમાઇને સસરા લાલજીભાઇના મોત અંગે શંકા જતા તેઓએ માંજલપુર પોલીસને ફોન કરી સમગ્ર હકીકતથી વાકેફ કર્યા હતા. જમાઇના ફોનથી ચોંકી ઉઠેલી પોલીસ તુરતજ માંજલપુર મુક્તિધામ સ્મશાનમાં આવી પહોંચ્યો હતો. અને અંતિમ સંસ્કાર માટે ચિતા ઉપર મૂકી દીધેલા લાલજીભાઇ બારીયાના મૃતદેહને નીચે ઉતારાવી કબજો લઇ લીધો હતો.

મૃતકના પત્નીની પોલીસ દ્વારા પૂછપરછ
પત્ની-પુત્રના વિરોધાભાષી નિવેદન
બીજી બાજુ માંજલપુર પોલીસની અન્ય ટીમે મૃતક લાલજીભાઇ બારીયાની પત્ની જશોદાબહેન અને પુત્ર અનિલની અલગ-અલગ રીતે પૂછપરછ કરતા બંનેના વિરોધાભાષી નિવેદનો આવ્યા હતા. પત્ની અને પુત્રએ લાલજીભાઇનું મોત ફાંસો ખાતા થયું હોવાનું જણાવ્યું હતું. પરંતુ, સમય અને અન્ય હકીકત અંગે અલગ-અલગ નિવેદનો આપતા પોલીસે લાલજીભાઇ બારીયાના મોતનું ચોક્કસ કારણ શોધવા માટે લાશને પોષ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પુત્રને જાણ કરી
પત્ની જશોદાબહેને જણાવ્યું હતું કે, પતિ લાલજી દારુની ટેવ વાળો હતો. અને મોડી સાંજે તેઓએ ફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો છે. સવારે ખબર પડતા પુત્ર અનિલને જાણ કરી હતી. અમોને પોલીસને જાણ કરવાની ખબર ન હોવાથી અમે પોલીસને જાણ કરી નથી. મારા પતિએ ફાંસોજ ખાઇ લીધો છે.
પુત્ર માતા-પિતાથી અલગ રહે છે
પુત્ર અનિલ બારીયાએ પિતા લાલજીભાઇના મોત અંગે જણાવ્યું હતું કે, હું મારા માતા-પિતાથી થોડે દૂર અલગ મકાનમાં રહું છું. સવારે મારી માતા જશોદાનો પિતાએ આપઘાત કરી લીધો હોવાનો મેસેજ આપતા દોડી આવ્યો હતો. માતાને પૂછતા તેઓએ પણ પિતાએ ફાંસો ખાઇ લીધો હોવાની માહિતી આપી હતી. અમે આ બાબતે પોલીસને જાણ કર્યા વગર માંજલપુર મુક્તિધામ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લઇ આવ્યા હતા.
બુધવારે મૃતકનું પોષ્ટમોર્ટમ થશે
માંજલપુર કોતર તલાવડી વિસ્તારમાં લાલજીભાઇ બારીયાના આપઘાતની જાણ કર્યા વગર તેઓના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે માંજલપુર મુક્તિધામ સ્મશાનમાં લઇ જતા અને માંજલપુર પોલીસે અંતિમ સંસ્કાર અટકાવવાની બનેલી ચોંકાવનારી આ ઘટનાએ ભારે ચકચાર જગાવી મૂકી છે. આવતી કાલ બુધવારે સવારે આધેડ લાલજીભાઇ બારીયાનું પોષ્ટમોર્ટમ કરવામાં આવશે. પોષ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. હાલમાં માંજલપુર પોલીસે પત્ની અને પુત્રએ આપેલી પ્રાથમિક વિગતોના આધારે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.