ગાંધીનગર6 મિનિટ પહેલા
- કૉપી લિંક

ગાંધીનગર શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ વાવોલ ગામમાં ઘરે ઘરે હવે નર્મદાના નિર પહોંચવાની તૈયારીમાં છે. તેવા સમયે ગામના વસાહતીઓમાં અનેરા આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવોલ ગામમાં અત્યાર સુધી ગામ અને સોસાયટીઓમાં બોરના પાણીની વ્યવસ્થા હતી. બોરનું પાણી અતિશય ક્ષારવાળું હોવાને કારણે ગ્રામજનોને પરેશાની રહેતી. હવે સરકારે જ્યારે નર્મદાના નીર ઘરે ઘરે પહોંચાડવાનું કામ હાથ ધર્યું છે, ત્યારે વાવોલ ગામમાં પણ ટૂંક સમયમાં નર્મદાના નીરનાં વધામણા થશે.

હાલમાં ઘણા વિસ્તારોમાં આ માટે પાઇપલાઇન નાખવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે અમુક વિસ્તારમાં ધમધોકાર કામ ચાલુ છે. માત્ર નર્મદાનું પાણી આવવાના એંધાણ થીજ લોકોમાં ખુશીની લાગણી છે, ત્યારે વસાહતીઓ લાગણી શબ્દોમાં વ્યક્ત કરતા સરકાર તથા નગરપાલિકાનો આભાર વ્યક્ત કરે છે. જેના થકી વધારે માત્રામાં ટીડીએસ વાળું પાણી પીવાથી થતા શારિરીક નુકસાનથી હવે લોકો બચી શકશે. વાવોલમાં વર્ષોથી રહેતા નિરંજન શાહ જેઓ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક પણ છે. તેમના જણાવ્યા પ્રમાણે પાણીમાં ટીડીએસ નું પ્રમાણ વધારે હતું. જેનાથી ઘણી તકલીફોનો સામનો કરવો પડતો.

આ રજૂઆત ગામના લોકો દ્વારા ભેગા મળી સરકારને કરતા હવે વાવોલમાં નર્મદાના નીરના વધામણા થવા જઈ રહ્યા છે. તે માટે હૃદયથી ગામ લોકો વતી તેઓ સરકારનો આભાર વ્યક્ત કરતા કહે છે સરકાર અમારી સમસ્યાને સમજી અને નિવારણ કર્યું એટલું જ નહીં પણ નર્મદાના આ પાણીને સંગ્રહ કરવા માટે નગરપાલિકા દ્વારા ગ્રાન્ટ ફાળવી 2 લાખ 30 હજાર લિટર પાણીના ક્ષમતા વાળા અંડર ગ્રાઉન્ડ વોટર સંપ નિર્માણનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું .જે ખૂબ જ મહત્વની અને લોક ઉપયોગી બાબત છે. તે માટે સરકાર અને નગરપાલિકા બંનેના અમે આભારી રહેશે.

વાવોલના અન્ય એક વસાહતી ભાઈ રમેશભાઈ ગામીતી નર્મદાના પાણી ઘર સુધી પહોંચવાની તૈયારી માટે ખુશી વ્યક્ત કરતા જણાવે છે કે, બોરના પાણીમાં ટીડીએસ ની માત્રા વધુ હોવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું. સરકારને રજૂઆત કરતા તેમણે લોકોના સ્વાસ્થ્યની પરવા કરી અને નર્મદાના નીર ઘર આંગણે પહોંચાડવાની દરકાર કરી અને સૌનો સાથ, સૌનો વિકાસ માટે પ્રતિબદ્ધ સરકારે,અસરકારક લોક કલ્યાણકારી યોજના થકી નર્મદાના નીર પહોંચાડવાનું જે પ્રશંસનીય કામ કર્યું, તે માટે દરેક લાભાર્થી વતી સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે.

વાવોલની મહિલાઓ પણ નર્મદાના પાણી આવસે એ વાતથી અત્યંત ખુશ છે. વાવોલની હરીનગર સોસાયટીના મનીષાબેન દવે તથા જાનકીબેન મોદી જણાવે છે કે, “ભાત કે ખીચડી બનાવવા હોય તો આ ક્ષાર વાળા પાણીને કારણે લાલ થઈ જાય છે, અને સ્વાદ પણ બગડે છે એટલે અમારે ઘરમાં આર.ઓ પ્લાન્ટ નંખાવવો જ પડે! હવે નર્મદાનું પાણી આવશે ત્યારે આ બધી ઝંઝટ માંથી મુક્તિ મળશે”.વાવોલમાં ઘણા ખરા વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચાડવા માટેની કામગીરી સંપૂર્ણ થઈ ચૂકી છે. અને બાકીની કામગીરી હાલમાં ખૂબજ ઝડપથી પૂરી થવાની તૈયારીમાં છે ત્યારે આ કામગીરીમાં સુપર વિઝન કરતા ગોપાલ ધોળકીયાએ જણાવેલ માહિતી મુજબ જ્યાં જ્યાં નર્મદાના પાણી માટે કામગીરી થતી જાય છે, ત્યાં ત્યાં લોકોમાં નર્મદાના પાણી આવવાને લઈ એક અલગજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



