પંચમહાલ (ગોધરા)4 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગોધરા શહેરના મામલતદાર કચેરી અને સરકારી જજ કોલોનીને અડીને એક સરકારી વસાહતની દીવાલ આવેલી છે. હાલ તે દીવાલ નમી ગયેલી હાલતમાં હોવાના કારણે તેને એક લાકડાના સહારે ટેકો આપીને ઉભી રાખવામાં આવી છે. આ નમી ગયેલી દીવાલની આજુબાજુ ઘણી વખત અરજદારો ઉભા રહે છે. ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ગોધરાના સામાજિક કાર્યકર આશિષ કામદાર દ્વારા નમી ગયેલી દીવાલનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તે માટે માગ કરવામાં આવી રહી છે.

ગોધરા શહેરમાં તાજેતરમાં તાલુકા સેવાસદનમાં મામલતદાર અને પ્રાંત કચેરી જેવી ઓફિસોની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ અર્થે આવતા હોય છે અને કામ અર્થે કચેરી ખાતે આવેલા અરજદારોનું કામ વહેલા ન થવાના લીધે તેઓ ગોધરા તાલુકા સેવા સદન કચેરીની બહાર ખુલ્લી જગ્યામાં બેસતા હોય છે. બીજી બાજુ હવે ઉનાળાની કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આકરા ગરમીના તાપથી બચવા માટે અરજદારો ઘણી વખતે છાયડાનો સહારો લેતા હોય છે.

ત્યારે ગોધરા તાલુકા સેવા સદન અને સરકારી વસાહતને અડીને એક દીવાલ બિલકુલ નમી ગયેલી હાલતમાં એક લાકડાના ટેકા ઉપર ઉભી રાખવામાં આવી છે. ત્યારે આ જગ્યાએ છાયડો હોવાથી ઘણી વખત અરજદારો આ જગ્યાએ બેસવા કે ઊભા રહેવા જતા હોય છે. ત્યારે દુર્ભાગ્ય આ લાકડાના ટેકા ઉપર ઉભી કરવામાં આવેલી દીવાલ કોઈ અરજદાર ઉપર આકસ્મિક રીતે પડી જાય તો તેની જવાબદારી કોની? આ નમી ગયેલી દીવાલને વહેલી તકે તેને તોડીને સમારકામ કરવામાં આવે તે માટે સામાજિક કાર્યકર આશિષ કામદારે માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગોધરાના સૈયદવાડા વિસ્તારમાં એક મકાનના પાયાના ખોદકામ દરમિયાન ત્રણ જેટલા મજૂરો દટાઈ ગયા હતા. જેમાં ગોધરા ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ બે જેટલા મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે ગોધરા તાલુકા સેવા સદનમાં આવેલા મામલતદાર અને પ્રાંત કચેરીમાં મોટી સંખ્યામાં અરજદારો પોતાના કામ અર્થે આવતા હોય છે. ત્યારે આ દીવાલની આજુબાજુ ઘણી વખત અરજદારો ઉભા રહે છે. ત્યારે સૈયદવાડા જેવી ઘટના ન બને તે માટે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તે માટે માગ ઉઠવા પામી છે.
