સુરત11 મિનિટ પહેલા
- કૉપી લિંક

સુરતનાં કતારગામ વિસ્તારમાં પતિનું અવસાન થતા વિધવા મહિલા સાથે રહેતા બેરોજગાર અને નશાના બંધાણી પ્રેમીએ પોત પ્રકાશ્યું હતું. પ્રેમીની હેરાનગતિ, મારઝુડથી મહિલાને અભયમ હેલ્પલાઈને છૂટકારો અપાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પતિના અવસાન બાદ મિત્રે વિધવાને પ્રેમજાળમાં ફસાવી હતી.
પતિના જ મિત્રે વિધવાને પ્રેમમાં ફસાવી
અભયમ ટીમથી મળતી વિગતો અનુસાર પીડિત મહિલાએ અભયમને પ્રેમીની હેરાનગતિમાંથી મુક્તિ અપાવવા કોલ કર્યો હતો. જેથી તેમના ઘરે જઈ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, લગ્ન બાદ પતિનું અવસાન થતા પતિનો મિત્ર સાંત્વના, સહાનુભૂતિ આપવા માટે અવાર-નવાર ઘરે આવતો હતો. ત્યારબાદ ઘરે તેમની સાથે રહેવા લાગ્યો હતો. એક દીકરી પણ હોવાથી તેની કાળજી પણ લેતો પરંતુ, થોડા સમય બાદ પોત પ્રકાશતા તે પરેશાન કરવા લાગ્યો હતો. મારઝૂડ પણ કરતો. ઘર છોડવા પણ તૈયાર ન હતો. જેથી પીડિતાએ અભયમની મદદ માંગી હતી.
પ્રેમીએ પોતાની ભૂલ કબૂલી
કતારગામ અભયમ રેસ્ક્યુ ટીમ સ્થળે પહોંચી પુરૂષ મિત્રને કાયદાની સમજ આપી ઘર છોડી દેવા સમજાવ્યો હતો. મહિલાને પરેશાન કરવી એ ગુનો બને છે, જેમાં જેલની સજા થઈ શકે છે એમ જણાવતા યુવકે પોતાની ભુલ કબૂલી હતી અને હવે પછી મહિલાના ઘરે ક્યારેય ન આવવા ખાતરી આપી હતી. જેથી મહિલાને ત્રાસમાંથી મુક્તિ મળી હતી. અભયમે મહિલાને પણ આવા પ્રેમસંબંધથી દૂર રહેવા અને જો કોઈ યોગ્ય પાત્ર મળે તો પુન:લગ્ન કરવા પણ સમજ આપી હતી.