આણંદ21 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
આણંદ શહેરના સરદાર ગંજ વિસ્તારમાં આવેલા ગોકુલધામ એક્રેડના બીજા માળે આવેલી પરફેક્ટ કેરિયર કન્સલ્ટન્સીના સંચાલકોએ બાંધણીના ખેડૂતને ન્યુઝેલન્ડના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી કરી હતી. આ કન્સલ્ટન્સીમાં અનેક લોકોએ વિદેશ માટે નાણા આપ્યા હોવાની ચર્ચા ઉઠી છે. હાલ આ અંગે આણંદ શહેર પોલીસે 10 હજારની છેતરપિંડી સબબ ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પેટલાદના બાંધણી ગામે રહેતા અનિલકુમાર ડાહ્યાભાઈ રોહિત ખેતી અને પશુપાલન કરે છે. તેમને વિદેશ જવાની ઇચ્છા હતી. તેઓએ એક જાહેરાત જોઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડ દેશના બે વર્ષના વર્ક પરમીટ, સારો પગાર અને પીઆરના ચાન્સ સાથે પાસપોર્ટ, બાયોડેટા સાથે સંપર્ક કરવાનો ઉલ્લેખ હતો. અનિલકુમારે તેમાં દર્શાવેલા નંબર પર સંપર્ક કરતાં ન્યુઝીલેન્ડ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આથી, તેમને આણંદના સરદારગંજ પાસે આવેલા ગોકુલધામ એક્રેડના બીજા માળે આવેલી ઓફિસમાં બોલાવ્યાં હતાં.
મહત્વનુ છે કે આ દરમ્યાન અનિલકુમાર 11મી નવેમ્બર,22ના રોજ બતાવેલા સરનામે પહોંચ્યાં હતાં. જ્યાં તેમને ધીરુભાઈ નામનો શખસ મળ્યો હતો. જેણે પરફેક્ટ કેરીયર કન્સલ્ટન્સી નામની વિઝાની ઓફિસ ચલાવતો હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે રોબર્ટ, શ્રીના ઉર્ફે પ્રિયા હોવાનું જણાવ્યું હતું. બાદમાં ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ બાબતે પુછપરછ કરતાં તેમણે ન્યુઝીલેન્ડના બે વર્ષના વિઝા અપાવવા ખાતરી આપી હતી અને રૂ.સાત લાખ ફીની માગણી કરી હતી. ધીરૂભાઈ પર વિશ્વાસ રાખી અનિલે તૈયારી દર્શાવતા તેમને મેડિકલ સહિતના દસ્તાવેજ માંગ્યાં હતાં. તેઓએ 14મી નવેમ્બર,22ના રોજ વડોદરા ખાતે ડો. પી.સી. ગોરના મેડિકલ કરાવ્યો હતો. જ્યાં રૂ. સાત હજારની ફી ચુકવી હતી. બે દિવસ બાદ ધીરૂભાઈ તથા શ્રીના ઉર્ફે પ્રિયાએ ફોન કરી અસલ પાસપોર્ટ સહિત દસ્તાવેજ માંગ્યાં હતાં. જે 18મી નવેમ્બર,22ના રોજ લઇ ધીરૂભાઈ ઓફિસ પર પહોંચ્યાં હતાં. જ્યાં રોબર્ટ, ધીરૂ તથા શ્રીના હાજર હતાં. ધીરૂના કહેવાથી સાડા ત્રણ હજાર વેલ્યુએશન રિપોર્ટની ફિ પ્રિયાને આપી હતી અને અસલ પાસપોર્ટ આપ્યો હતો.
આ સમયે ધીરૂએ જણાવ્યું હતું કે, તમારી ફાઇલ ન્યુઝીલેન્ડ એમ્બેસીમાં મુકીશ અને તેની ફી પેટે તમારે રૂ.30 હજાર આપવા પડશે. તેમ જણાવતાં અનિલકુમારે હાલ પૈસાની સગવડ નથી. હું લોન લઇને પૈસા આપીશ તેમ જણાવ્યું હતું. જોકે, બે મહિના બાદ પૈસાની સગવડ થતાં અનિલકુમારે ફોન કરતા શ્રીના ઉર્ફે પ્રિયાનો મોબાઇલ બંધ આવતો હતો. આથી, ધીરૂને ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે, શ્રીના બે મહિનાથી ઓફિસે આવતા નથી. તમારો પાસપોર્ટ પણ તેમની પાસે જ છે. આથી, અનિલકુમાર તુરંત ધીરૂની ઓફિસે પહોંચ્યાં હતાં. પરંતુ ધીરૂ કે તેમના માણસો રોબર્ટ, શ્રીના પટેલ મળતા નહતા. રોબર્ટ તથા શ્રીના પટેલનો મોબાઇલ સ્વીચ ઓફ આવે છે. જ્યારે ધીરૂ મોબાઇલ પર વાયદા પર વાયદા કરી રહ્યો છે. આમ વિઝા અપાવવાના બહાને વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાતા અનિલકુમાર આણંદ શહેર પોલીસ મથકે પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ ધીરૂભાઈ પરમાર, રોબર્ટ, શ્રીના ઉર્ફે પ્રિયા પટેલ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.