અરવલ્લી (મોડાસા)એક કલાક પહેલા
- કૉપી લિંક
કોઈપણ સગીર યુવક યુવતી જીવનમાં એક વખત કરેલી ભૂલને છુપાવવા ગમે તેટલો પ્રયત્ન કરે પણ કાનુનના હાથે કોઈ બચી શકતું નથી. ત્યારે મેઘરજના ધાધીયા ગામે સગીરાની કુખે જન્મેલી બાળકીના દફનાવેલા મૃતદેહને હિંમતનગર પોલીસ દ્વારા તપાસ અર્થે બહાર કઢાયો છે.
મેઘરજ તાલુકાના ધાધિયા ગામનો એક સગીર 27 જાન્યુઆરી 2021ના રોજ હિંમતનગરના એક ગામની સગીરાને લઈ ભાગી ગયો હતો. ત્યારબાદ આ સગીરે સગીરાને ગર્ભવતી બનાવી હતી. આ સગીરાને બનાસકાંઠાના કાંકરેજ ખાતે આવેલી જે.વી. શાહ રેફરલ હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરાઈ હતી અને 4 માર્ચના રોજ સગીરાએ દીકરીને જન્મ આપ્યો હતો.
આ બાળકી કોઈ કારણોસર તારીખ 14 માર્ચના રોજ મૃત્યુ પામી હતી. ત્યારે જે તે સમયે એટલે કે, 27 જાન્યુઆરી 2021ના રોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સગીરાને ભગાડી જવા બાબતે પોક્સો હેઠળ ગુન્હો નોંધાયો હતો. પોલીસ પણ તપાસમાં હતી. ત્યારે બાળકી જન્મી અને તેનું ફક્ત દસ જ દિવસમાં મોત નિપજતા અનેક તર્કવિતર્ક સામે આવ્યા છે.
ત્યારે હિંમતનગર ગ્રામ્ય પીઆઇ જ્યોત્સના ઓડ તેમજ સિવિલ હોસ્પિટલના બે કર્મચારીઓ મેઘરજ મામલતદાર સહિતનો સ્ટાફ આજે મેઘરજના ધાધિયા ખાતે આવેલા સગીરના પિતાની માલિકીની જમીનની બાજુની ખુલ્લી જગ્યામાં દફનાવેલા મૃતદેહને બહાર કાઢીને ડીએનએ અને પીએમ કરવા હિંમતનગર લઈ જવાયો છે.