વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
એમ.એસ. યુનિવર્સિટીના પરિણામોમાં ગંભીર છબરડાં
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટી.વાય. બીકોમમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓના પરિણામોમાં શૂન્ય માર્ક્સ અથવા ગેરહાજર લખાઇને આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જો કે, ફેકલ્ટી ડીને વિદ્યાર્થીઓનાં પરિણામમાં જો ખરેખર ભૂલ થઇ હશે તો સુધારો કરી આપવાની બાહેંધરી આપી છે.
પરિણામોમાં છબરડાં
અવાર-નવાર વિવાદોમાં રહેતી એમ.એસ. યુનિવર્સિટીનાં ટી.વાય. બીકોમના 6 સેમેસ્ટરની એમ.એસ.ક્યુ પધ્ધતિથી લેવામાં આવેલી પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જાહેર કરવામાં આવેલા પરિણામોમાં અનેક વિદ્યાર્થીઓના પરિણામોમાં છબરડાં થયા હોવાનું સામે આવતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે.
વિદ્યાર્થી અગ્રણીઓની ચિમકી
એમ. એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા પરિણામોમાં થયેલા ગંભીર છબરડાઓ અંગે વિદ્યાર્થી નેતાઓ મેદાનમાં આવી ગયા છે અને વિદ્યાર્થીઓના પરિણામોમાં થયેલા ગંભીર છબરડાઓનો સુધારો કરવા માંગણી કરી છે. આ સાથે ચિમકી આપી છે કે, જો યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના પરિણામો અંગે વહેલી તકે સુધારો કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.
અરજીને ત્રણ માસ થઇ ગયા
એસ.વાય. બીકોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઋષી શાહે જણાવ્યું હતું કે, મેં પરીક્ષા આપી હતી. પરિણામ આવતા તેમાં એક સબ્જેક્ટમાં ગેરહાજર બતાવે છે. આવુ માાત્ર મારા પરિણામમાં નહિં પરંતુ, મારી બેચના તમામ વિદ્યાર્થીઓના પરિણામમાં ગેરહાજરી બતાવી છે. મેં ત્રણ માસ પહેલાં ફેકલ્ટીના જવાબદારોના કહેવાથી અરજી આપી હતી પરંતુ, હજુ સુધી પરિણામમાં સુધારો થયો નથી.

કોમર્સ ફેકલ્ટીમાં છબરડાં
નિરાકરણ લાવવું જરૂરી
વિદ્યાર્થી અગ્રણી રોહન વસાવાએ જણાવ્યું હતું કે, એસ.વાય. અને ટી.વાય. બીકોમમાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓના મિત્રોના પરિણામોમાં છબરડાં થયા છે. કેટલાંક વિદ્યાર્થીઓના પરિણામમાં શૂન્ય માર્ક્સ તો કેટલાંક વિદ્યાર્થીઓના પરિણામમાં ગેરહાજર બતાવે છે. પ્રશ્ન એ છે કે, પરિણામોમાં થતાં છબરડાની અસર તેમના ભવિષ્ય પડે છે. વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જરૂરી છે.
એટીકેટીની દહેશત
એ.જી.એસ.યુ. સંગઠનના અગ્રણી પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, મારી પાસે પાદરા કોલેજના વિદ્યાર્થીઓની ફરિયાદો આવી છે. ટી.વાય. બીકોમના 6 સેમેસ્ટરના પરિણામમાં છબરડાં સામે આવ્યા છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં પરિણામમાં ગેરહાજરી બતાવે છે તો કેટલાંક વિદ્યાર્થીઓના પરિણામમાં શૂન્ય માર્કસ બતાવી રહ્યા છે. આ ગંભીર પ્રકારની ભૂલ છે. વિદ્યાર્થીઓને એટીકેટીની દહેશત છે.
સુધારો કરી આપવામાં આવશે
કોમર્સ ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મારી પાસે વિદ્યાર્થી અગ્રણીઓની પરિણામોમાં થયેલી ભૂલો અંગે ફરિયાદો આવી છે. અમે વિદ્યાર્થીઓને જણાવ્યું છે કે, જે વિદ્યાર્થીઓના પરિણામોમાં ભૂલ આવી હોય તેઓએ યુનિટમાં વિગતવાર અરજી આપવી. તંત્ર દ્વારા રીએસેસમેન્ટ કરીને જે પરિણામ હશે તેમાં સુધારો કરીને આપવામાં આવશે. અમારી પાસે 130 વિદ્યાર્થીઓને અરજીઓ આવી છે.