વડોદરા41 મિનિટ પહેલા
- કૉપી લિંક
ફાઈલ તસવીર
- પત્ર લખવા, ફોર્મ ચકાસણીનાં કામ પણ કરવાં પડે છે
- 50 કરતાં વધારે વિવિધ સેલમાં અધ્યાપકોને બેવડી જવાબદારીનું ભારણ
એમ.એસ.યુનિવર્સિટીમાં શૈક્ષણિક સ્ટાફની ઓછી સંખ્યાના પગલે અધ્યાપકોની ઘટના પગલે વર્ક લોડ વધી ગયો છે. કલાર્કને કરવાના થતાં કામો પણ અધ્યાપકો કરી રહ્યા છે,ફોર્મ ચકાસણી થી લઇને પત્ર વ્યવહાર કરવાની કામગીરી પણ કરવી પડી રહી છે. 600 જેટલા કાયમી શિક્ષકોની જગ્યા ખાલી છે. આ જગ્યાઓ પર હંગામી અધ્યાપકોની ભરતી કરાઇ છે. 500 જેટલી બિન-શૈક્ષણિક જગ્યાઓ ખાલી છે.
અધ્યાપકોને વર્કલોડમાં વધારો થયો
યુનિવર્સિટીમાં 50 કરતાં વધારે વિવિધ સેલમાં અધ્યાપકો બેવડી જવાબદારી નિભાવી રહ્યા છે.તાજેતરમાં જ અમદાવાદની એલ.ડી.એન્જીનયરીંગ કોલેજના અધ્યાપક દ્વારા કામના ભારણના પગલે આત્મહત્યા કરી હતી. જેના પગલે શિક્ષક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અધ્યાપકોને વર્કલોડમાં વધારો થયો છે એક સાથે બે કે તેનાથી વધારે ચાર્જ આપવામાં આવી રહ્યા છે. જેની પાછળનું કારણ છે કે પૂરતી સંખ્યામાં અધ્યાપકોની ભરતી કરવામાં ના આવવાના પગલે કામનું ભારણ વધી રહ્યું છે. એમ.એસ.યુનિવર્સિટીમાં પણ અધ્યાપકોના કામનું ભારણ વધી જવા પામ્યું છે.
500 જેટલી બિન-શૈક્ષણિક જગ્યાઓ ખાલી
યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં અધ્યાપકોના માથે કામનું ભારણ વધ્યું છે. યુનિવર્સિટીમાં વિવિધ સેલ આવેલા છે જેમાં અધ્યાપકોને કામગીરી સોંપી છે. આ અધ્યાપકો પોતાની ફેકલ્ટીમાં પણ અભ્યાસ સહિતની પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેના પગલે આ અધ્યાપકો પાસે એક કરતાં વધારે ચાર્જ છે. નોન -ટીચીંગ સ્ટાફની સંખ્યા પણ ઘટી રહી છે જેના પગલે ઘણી ફેકલ્ટીઓમાં તો અધ્યાપકોને કાલાર્ક કક્ષાના કામો કરવા પડી રહ્યા છે. જેના કારણે પણ કામનું ભારણ વધી ગયું છે.
અધ્યાપકો નિવૃત્ત થશે તેમ તેમ પરિસ્થિતી વધારે બગડતી જશે
યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી કરવામાં આવી રહી નથી જેના પગલે આગામી સમયમાં જેમ જેમ અધ્યાપકો નિવૃત્ત થશે તેમ તેમ પરિસ્થિતી વધારે બગડતી જશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સેનેટ સભ્ય નિકુલ પટેલ દ્વારા સેનેટની બેઠકમાં જ ભરતી પ્રક્રિયાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેના પગલે ભારે હંગામો પણ થયો હતો. સેનેટ સભ્યના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટીમાં ટીચીંગ અને નો ટીચીંગ પોસ્ટ મળીને 2114 જેટલી જગ્યાઓ ખુબ જ લાંબા સમયથી ખાલી છે. જેના પગલે યુનિવર્સિટીનું સમગ્ર તંત્ર ખોરવાઇ ગયું છે. આ ઉપરાંત આગામી 2025 સુધીમાં 200 કરતાં વધારે કર્મચારીઓ નિવૃત્ત થનાર છે જેના કારણે પરિસ્થિતિ વધારે બગડે તેવું ચિત્ર નિર્માણ થઇ રહ્યું છે.
ડોક્યૂમેન્ટની ચકાસણી પણ અધ્યાપક કરે છે
એડમિશન પ્રક્રિયા સમયે ઓનલાઇન ફોર્મનું વેરીફીકેશન,વિદ્યાર્થી કઇ કેટેગરીમાં આવે છે તેના ડોક્યુમેન્ટની ચકાસણી,8 થી 10 ડોક્યુમેન્ટની ખરાઇ કરવાની કામગીરી કરવી પડે છે
આર્ટસ ફેકલ્ટીના એમએમાં વિષય પસંદગી કરવાની કામગીરી પણ અધ્યાપકોએ કરાવવાની હોય છે
વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સાથે જે પણ પત્ર વ્યવહાર કરવાનો હોય નોટીફીકેશન,નોટીસની કામગીરી કરવાની હોય તે તમામ કામગીરી અધ્યાપકો દ્વારા કરવામાં આવી રહી છે
પરીક્ષા દરમિયાન અમુક ફેકલ્ટીમાં બ્લોક નંબરની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે
ડીએસડબલ્યુના ફોર્મથી લઇને ચકાસણી સહિતની જવાબદારી પણ શિક્ષકો કરી રહ્યા છે.
છેલ્લા બે વર્ષથી ઇન્ટરનલ માર્કની ડેટા એન્ટ્રી અધ્યાપકોને કરવાની હોય છે. જે પહેલા ક્લાર્ક કક્ષાએ કરવામાં આવતી હોય છે.
નોન-ટીચિંગની ભરતી ન થતાં ટીચિંગ સ્ટાફ હેરાન
કલાર્ક ના કામ અધ્યાપક કરે છે. નોન એકેડેમીક વર્કલોડના પગલે ભારણ વધી ગયું છે. આર્ટસ ફેકલ્ટીમાં સોશિયોલૉજી વિભાગમાં 600 વિદ્યાર્થીઓ સામે 6 હંગામી અધ્યાપકો એક પ્રોફેસર છે,ફેન્ચમાં 1 ટેમ્પરરી લેકચર,જર્મનમાં એક લેકચરર,પોલીટીકલ સાયન્સમાં 3 શિક્ષકો જ કામ ચાલી રહ્યું છે. સાથે નોન-એકડમીક કામ પણ આ શિક્ષકો કરી રહ્યા છે. આજ સ્થિતિ અન્ય ફેકલ્ટીઓમાં પણ છે જેના કારણે અધ્યાપકોને ભારણ વધી ગયું છે.- દિલીપ કટારીયા-સિન્ડિકેટ સભ્ય