સાબરકાંઠા (હિંમતનગર)33 મિનિટ પહેલા
- કૉપી લિંક
હિંમતનગરમાં આંબાવાડીથી બગીચા વિસ્તારમાં દેરાસરમાં ભગવાનના દર્શને જતા દિવ્યાંગ વૃદ્ધનું સોમવારે સવારે ઉદેપુરથી અમદાવાદ જતી માલગાડીની અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે હિંમતનગર રેલવે ચોકીમાં જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરના આંબાવાડીમાં બાર બંગલા વિસ્તારમાં 11 નંબરના મકાનમાં રહેતા 72 વર્ષીય દિવ્યાંગ કે જેઓ સાંભળી કે બોલી શકતા નથી. તે લલીતભાઈ મહેતા ઘરેથી બગીચા વિસ્તારમાં દેરાસરમાં દર્શન કરવા જતા હતા. જે સમય દરમિયાન સોમવારે સવારે 10.30 વાગ્યાના સુમારે હિંમતનગર-ઉદેપુર રેલવે લાઈનના જૂની જિલ્લા પંચાયતના ફાટકથી કેનાલ તરફના રેલવે પાટા પર ઉદેપુરથી અમદાવાદ જઈ રહેલી માલગાડીની અડફેટે આવી જતા પડી ગયા હતા. જ્યાં તેમની ઉપરથી ટ્રેન પસાર થઇ જતા શરીરના બે ભાગ થઇ ગયા હતા જેને લઈને તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે હિંમતનગર રેલવે પોલીસ ચોકીએ જાણ થતા પોલીસ ચોકીના વિજયભાઈ, વિકાસભાઈ, હિતેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ, મહિલા પોલીસ કર્મી રાધાબેને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈને પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોપ્યો હતો અને બનાવ અંગે પોલીસ ચોકીમાં અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.