Friday, April 21, 2023

કાલે પરશુરામ જયંતી, ઈદથી શોભાયાત્રા કે ઝુલુસમાં લાઉડસ્પીકર-ડીજે નહીં, ડ્રોનથી વીડિયોગ્રાફીઃ હાઇકોર્ટ | Parashuram Jayanti tomorrow, no loudspeaker-DJ in Eid procession or Zulus, drone videography: High Court | Times Of Ahmedabad

અમદાવાદ16 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રામનવમીના દિવસે વડોદરામાં કોમી તંગદિલી અને પથ્થરમારો થયો હતો. ધાર્મિક તહેવારો અને સરઘસો વખતે કોમી તંગદિલી અને રમખાણોનો મુદ્દો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટમાં એજાઝ ખાન પઠાણ દ્વારા વકીલ કે.આર. કોષ્ઠી મારફત આ મુદ્દે PIL દાખલ કરવામાં આવી હતી. જેમાં અરજદારના વકીલ દ્વારા પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ PILની આજે હાઇકોર્ટમાં સુનાવણી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા કાલે પરશુરામ જયંતી અને રમઝાન ઇદથી કોઈ પણ ધાર્મિક સરઘસો કે ઝુલુસોમાં લાઉડસ્પીકર અને ડીજે પર પ્રતિબંધ, સરઘસ કે ઝુલુસનું ડ્રોન કેમેરાથી વીડિયોગ્રાફી સહિત 9 મુદ્દાને આવરી લેતો ચુકાદો આપ્યો છે. સરકારે એફિડેવિટ દ્વારા જવાબ આપતા જે 9 મુદ્દા ટાંકવામાં આવ્યા હતા તે હાઇકોર્ટે માન્ય રાખ્યા છે અને પોલીસની ભૂમિકા પર પ્રશ્ન છે તે અમાન્ય રાખવા જણાવ્યું છે.

હાઇકોર્ટે 9 મુદ્દાનો ચુકાદો આપ્યો

  1. લાઉડસ્પીકર અને ડીજે જેવી પબ્લીક એડ્રેસ સિસ્ટમ પર પ્રતિબંધ
  2. ધાર્મિક સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પોલીસ, SRPF, હોમ ગાર્ડ્ઝ, ગ્રામ રક્ષકો બંદોબસ્તમાં રહેશે
  3. મહત્વના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાશે
  4. સ્થાનિક લોકોને ટ્રાફિક અને ડાયવર્ઝનની માહિતી આપવામાં આવશે
  5. ક્રિમીનલ બેકગ્રાઉન્ડવાળા વ્યક્તિઓની અટકાયત કરવામાં આવશે
  6. સરઘસ અને ઝુલુસ બન્ને ભેગા થતા હોય તેવા વિસ્તારોને આઇડેન્ટીફાઇ કરવામાં આવશે
  7. સાયબર ક્રાઇમ પોલીસની મદદથી સોશિયલ મીડિયા પર મોનિટરિંગ
  8. ડ્રોન અને કેમેરાથી વીડિયોગ્રાફી
  9. સરઘસ અને ઝુલુસના રૂટ પર પૂરતા પોલીસ સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે

અરજદારે અરજીમાં શું રજૂઆત કરી હતી?
અરજદાર એજાઝ ખાન પઠાણે અરજીમાં રાજ્યમાં વડાલી, છત્રાલ, હિંમતનગર, ખંભાત, પેટલાદ, વડોદરા અને ઉનામાં થયેલા ઘર્ષણનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસના અપૂરતા બંદોબસ્તને લઈને પણ રમખાણો થતાં હોવાની અરજદારે અરજીમાં રજૂઆત કરી હતી. કાલે પરશુરામ જયંતિ અને રમઝાન ઇદની ઉજવણીમાં યોગ્ય બંદોબસ્ત કરવા અરજીમાં રજૂઆત કરાઇ હતી.

સુપ્રીમ કોર્ટના ચુકાદાને પૂરાવા તરીકે ટાંકીને બધી વ્યવસ્થા કરી
આ અંગે વકીલ કે.આર.કોષ્ઠીએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ગુજરાત રાજ્યમાં રામનવમી હોય, પરશુરામ જયંતિ હોય કે હનુમાન જયંતી હોય એ સમયે જે તોફાનો થયા છે એ તોફાનોને કારણે કોમી શાંતિમાં વિક્ષેપ પડ્યો છે. એટલા માટે આ બધી વસ્તુઓ થાય નહીં અને લોકોને તકલીફો ન થાય એ માટે હાઇકોર્ટ પાસેથી નિર્દેશ મેળવવાની એક માગ કરવા માટે એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકાર અને ડીજીપી ઓફિસ તરફથી એફિડેવીટ આવેલી અને તેની અંદર એમણે તમામ વ્યવસ્થા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને પૂરાવા તરીકે ટાંકીને બધી વ્યવસ્થા કરી છે.

હેટ સ્પીચ ઉપર પણ પ્રતિબંધ
કે.આર.કોષ્ઠીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વ્યવસ્થાની અંદર લાઉડસ્પીકર, ડીજે પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોઈ પણ પ્રકારની હેટ સ્પીચ ન આપી શકો તેના ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત આ કાર્યક્રમનું ડ્રોનથી શૂટિંગ થશે, સીસીટીવી કેમેરા દ્વારા તેનું મોનિટરિંગ થશે. જે-તે તાલુકા અને જિલ્લાના પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે કે, તે પોતે પણ આ કાર્યક્રમને વીડિયોગ્રાફી કરી શકે, તેના માટેની પણ સૂચનાઓ અપાઇ છે.

હાઇકોર્ટે કાયમ માટે આ નિયમોનો અમલ કરવાનો હુકમ કર્યો
કે.આર.કોષ્ઠીએ વધુમાં જણાવ્યું હતું કે, હવે આપણે કહી શકીએ કે ભૂતકાળમાં આ પ્રકારની ઘટના દરમિયાન લોકોને પરેશાન થઈને પોલીસ સ્ટેશન, કોર્ટ અને હોસ્પિટલમાં જવું પડતું હતું. એના બદલે હવે ભવિષ્યમાં એવી ઘટનાઓ ન બને તેના માટેની વ્યવસ્થા માટે આ પિટિશન કરવામાં આવી અને તેમાં રાજ્ય સરકારે એફિડેવિટમાં એ તૈયારી બતાવી છે તેને અમે આવકારીએ છીએ. સરકારી એફિડેવિટને અમે કોર્ટના હુકમમાં ઉમેરવાની માગ કરી હતી અને કોર્ટે એ માગને સ્વીકારીને કાયમ માટે આ નિયમોનો અમલ કરવાનો હુકમ કર્યો છે.

ચાર-પાંચ વર્ષથી ગુજરાતનો માહોલ બગડી રહ્યો છેઃ અરજદાર
આ અંગે PIL કરનાર એજાઝ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમે જે PIL દાખલ કરી હતી તેનો હેતુ માત્ર એટલો જ હતો કે, છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગુજરાતનો માહોલ બગડી રહ્યો છે. ત્યારે આવા સમયે ગુજરાતના લોકો શાંતિપૂર્ણ રીતે જીવન વ્યતીત કરી શકે એ માટે હાઇકોર્ટ નિર્દેશ કરે એ જરૂરી છે. ત્યારે આ PILના અનુસંધાને હાઇકોર્ટ દ્વારા ટૂંક સમયમાં નિર્દેશ કરવામાં આવ્યો અને આજે સરકાર દ્વારા અને ડીજીપી ઓફિસ દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવી. તેની અંદર અમારી લગભગ તમામ માગણીઓ સંતોષવામાં આવી હતી.

ગુજરાતમાં શાતિ-સુમેળભર્યું વાતાવરણ જરૂરી
એજાઝ ખાન પઠાણે વધુમાં જણાવ્યું હતું કે, જેટલા પ્રકારના ઝુલુસ, શોભાયાત્રા અને ધાર્મિક પ્રસંગો, તહેવારો ઉજવવામાં આવે છે એ તમામની પરમિશન લેવામાં આવે અને પરમિશન લીધા પછી એ તમામનું વીડિયો રેકોર્ડિંગ અને સ્થળો પર જે જગ્યાએ હેટ સ્પીચ અથવા લાઉડસ્પીકરનો ઉપયોગ થતો હોય, જાહેર રેલીઓમાં તેની પર પ્રતિબંધ મૂકવા માટે સરકારે એફિડેવિટ કરી છે. હવે કાલે પરશુરામ જયંતિ અને ઈદનો તહેવાર છે તેના અનુસંધાનમાં આ એફિડેવિટ કરવામાં આવી હતી. અમારા એડવોકેટ દ્વારા અપીલ કરવામાં આવી હતી અને વાત મૂકવામાં આવી હતી કે આ દરેક તહેવાર માટે આને લાગુ કરવામાં આવે. જે બાદ હાઇકોર્ટ દ્વારા આ માંગને ગ્રાહ્ય રાખીને ઓર્ડર કરવામાં આવ્યો છે, નિર્દેશ કરવામાં આવ્યો છે કે, તમામ આવા તહેવારોની અંદર ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે તહેવારો જોઈ શકે, શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ રહે એ જરૂરી છે.

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો
રામનવમીના દિવસે વડોદરામાં વિશ્વ હિન્દુ પરીષદ અને બજરંગ દળ દ્વારા હરણી મોટનાથ મહાદેવ પાસેથી ભગવાન રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા બપોરે 2 વાગ્યાની આસપાસ ફતેપુરાના પાંજરીગર મહોલ્લામાં પહોંચી હતી. આ દરમિયાન ગલીઓ સાકળી હોય અને લોકોના વાહનો પાર્ક કરેલા હોવાને કારણે રહીશો અને શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો વચ્ચે ઘર્ષણ થયું હતું અને જોતજોતામાં મામલો કોમી તોફાનમાં ફેરવાઈ ગયો હતો. અંદાજિત 500 જેટલા લોકોના બે જૂથના ટોળા સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરું થયો હતો. આથી વારસિયા સિટી પોલીસના પોલીસ જવાનો સાથે ઉચ્ચ અધિકારાઓએ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં પોલીસે 45થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…