સુરત13 મિનિટ પહેલા
- કૉપી લિંક
મનપા દ્વારા વેરો વધુ આપ્યો હોવાના આરોપ સાથે કતારગામ ઝોનના પાર્ટી પ્લોટ માલિકો દ્વારા પાર્ટી પ્લોટ બંધ કરી વિરોધ શરૂ કર્યો
સુરતના કતારાગામ ઝોનમાં પાર્ટી પ્લોટના માલિકોને આકરણી વિભાગ દ્વારા ફટકારવામાં આવેલ રિવાઈઝ્ડ વેરાનો વિવાદ હવે ચરમ પર પહોંચ્યો છે. પાર્ટી પ્લોટના માલિકો દ્વારા મનપાના ચોપડે લાખો રૂપિયાની બાકી નીકળતી આકરણી ભરવાને બદલે હવે પાર્ટી પ્લોટ બંધ કરાવવામાં આવતાં હોબાળો મચી જવા પામ્યો છે.કતારગામ વિસ્તારમાં અંદાજીત 50 જેટલા પાર્ટી પ્લોટ માલિકોએ વેરાબિલ સામે વિરોધ કરવા પાર્ટી પ્લોટ બંધ કરી દીધા છે.અને કતારગામ ઝોનમાં સમાવિષ્ટ તમામે તમામ પાર્ટી પ્લોટ બંધ કરવામાં આવતાં મંડપ ડેકોરેશન, લાઈટ ડેકોરેશન અને ઈવેન્ટ મેનેજમેન્ટ સહિતના અનેક વેપારીઓની હાલત પણ કફોડી થવા પામી છે.
પાર્ટી પ્લોટ માલિકોનો વેરા બિલ સામે ઉગ્ર વિરોધ
સુરતના કતારગામ વેડ વિસ્તારમાં આવેલા અંદાજીત 50 જેટલા પાર્ટી પ્લોટ હાલમાં બંધ હાલતમાં છે અને તે પાછળનું કારણ વેરાબિલ છે વેરાબિલ સામે વિરોધ કરવા પ્લોટ માલિકોએ પાર્ટી પ્લોટ બંધ કરી દીધા છે. કતારગામ ઝોનમાં પાર્ટી પ્લોટની આકારણીમાં ગેરરિતી થઈ હોવાની ફરિયાદ બાદ પાલિકાએ રિવિઝન આકારણી કરી હતી. જેમાં પાર્ટી પ્લોટમાં અનેક ઘણા વેરા વધી ગયા છે. ભૂતકાળની રિકવરી સાથે પ્લોટ માલિકોને 10 થી 85 લાખ સુધીના વેરાબીલ આપવામાં આવ્યા છે.જેને લઇ પાર્ટી પ્લોટના માલિકોએ વેરાબીલ સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.
ભાડે આપેલા પાર્ટી પ્લોટ પણ પરત લઇ લીધા
સુરત મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટ માટે આપેલા અધોધ વીરા સામે વિરોધ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. કતારગામ ઝોનમાં લગભગ તમામ પાર્ટી પ્લોટ માલિકોએ પોતાના પાર્ટી પ્લોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે ભાડે આપેલા પાર્ટી પ્લોટના માલિકોએ જે જગ્યા ભાડે આપી છે તેને પ્લોટ ખાલી કરવાનું કહી દીધું છે. પાર્ટી પ્લોટના માલિકો વેરો ભરી શકે તેમ ન હોવાનું કારણ આપીને પ્લોટ ખાલી કરવા માટે સુચના આપી દીધી છે. જેના કારણે પ્લોટ ભાડે રાખનાર તથા પાર્ટી પ્લોટના ધંધા સાથે સંકળાયેલા અન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
વેરો ભરી શકાય એમ નથી એટલે બંધ પાર્ટી પ્લોટ બંધ કર્યા : પાર્ટી પ્લોટ માલિકો
પાર્ટી પ્લોટ માલિક ગણેશભાઈએ જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટની અંદર વેરા વધુ આવ્યા હોવાથી માલિકોએ બંધ કરવા સુચના આપી છે. માલિકોએ કહ્યું કે અમે વેરો ભરી શકીએ એમ નથી, અહી અંદાજીત 50જેટલા પાર્ટી પ્લોટ આવ્યા છે અને તમામ બંધ છે. જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી બંધ રહેશે. ફાર્મ બંધ હોવાથી આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોને અસર થઇ રહી છે.
મનપા દ્વારા વધુ પડતા વેરા આપવા આવ્યા છે
વધુ એક પાર્ટી પ્લોટ માલિક અશ્વિનભાઈ ગઢિયાએ જણાવ્યું હતું કે મનપાના વધુ પડતા વેરાને લઈને પાર્ટી પ્લોટ ધારકોએ પાર્ટી પ્લોટ બંધ કરી દીધા છે. જેને લઈને અમારા મંડપ અને લાઈટ ડેકોરેશનના લોકો હાલમાં બેરોજગાર બની રહ્યા છે. પાર્ટી પ્લોટ માલિકોનું કહેવું છે કે આવક કરતા વેરો વધુ આવે છે જેથી અમે પાર્ટી પ્લોટ ચલાવી શકીએ નહી અમારે પાર્ટી પ્લોટ બંધ કરવા સુચના આપી છે. આ કતારગામ વિસ્તારમાં ૫૦ જેટલા પાર્ટી પ્લોટ આવેલા છે જે તમામ બંધ છે